ભારત સરકારે 16 પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂક્યો, BBCને નોટિસ મોકલી

Pahalagam Attack: પહલગામ આતંકવાદી હુમલા બાદ ઉશ્કેરણીજનક અને સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ સામગ્રી ફેલાવવા બદલ ભારત સરકારે 16 પાકિસ્તાની યુટ્યુબ ચેનલોને બ્લોક કરી દીધી છે. સૂત્રો મુજબ આ ચેનલોના કુલ 6.3 કરોડ સબ્સ્ક્રાઇબર્સ હતા. આ કાર્યવાહી કેન્દ્રીય ગૃહ મંત્રાલયની ભલામણ પર કરવામાં આવી છે.
બ્લોક કરાયેલા ચેનલોમાં પાકિસ્તાની ન્યૂઝ ચેનલો ડોન, સમા ટીવી, એઆરવાય ન્યૂઝ, બોલ ન્યૂઝ, રફ્તાર, જીઓ ન્યૂઝ અને સુનો ન્યૂઝનો સમાવેશ થાય છે. ઉપરાંત પત્રકારો ઇર્શાદ ભટ્ટી, અસ્મા શિરાઝી, ઉમર ચીમા અને મુનીબ ફારૂકની યુટ્યુબ ચેનલો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત ધ પાકિસ્તાન રેફરન્સ, સમા સ્પોર્ટ્સ, ઉઝૈર ક્રિકેટ અને રાઝી નામા જેવા અન્ય પ્લેટફોર્મ પણ આ યાદીમાં છે.
આ યુટ્યુબ ચેનલો ભારત, ભારતીય સેના અને સુરક્ષા એજન્સીઓ વિરુદ્ધ ખોટો, ભ્રામક અને ઉશ્કેરણીજનક પ્રચાર ફેલાવી રહી હતી. ખાસ કરીને પહલગામ હુમલા પછી જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વધુ તણાવપૂર્ણ બન્યા હતા. આ હુમલામાં 25 પ્રવાસીઓ અને એક કાશ્મીરી નાગરિકની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી.
હવે જો કોઈ આ ચેનલોને ઍક્સેસ કરવાનો પ્રયાસ કરશે, તો તેમને સંદેશ દેખાશે, “રાષ્ટ્રીય સુરક્ષા અથવા જાહેર વ્યવસ્થા સંબંધિત સરકારી આદેશોને કારણે આ સામગ્રી આ દેશમાં ઉપલબ્ધ નથી. વધુ માહિતી માટે ગૂગલ ટ્રાન્સપરન્સી રિપોર્ટ જુઓ.”
ભારત સરકારે BBCના રિપોર્ટિંગ સામે સખત વાંધો વ્યક્ત કર્યો
સોમવારે ભારત સરકારે પહલગામ આતંકવાદી હુમલા અંગે BBCના અહેવાલ સામે સખત વાંધો ઉઠાવ્યો. BBCએ “ઘાતક કાશ્મીર હુમલા બાદ પાકિસ્તાને ભારતીયો માટે વિઝા સસ્પેન્ડ કર્યા” શીર્ષકવાળા અહેવાલમાં આ આતંકવાદી ઘટનાને “ઉગ્રવાદી હુમલો” ગણાવ્યો છે. આ શબ્દપ્રયોગથી નારાજ થઈને નરેન્દ્ર મોદી સરકારે બીબીસી ઈન્ડિયાના વડા જેકી માર્ટિનને ઔપચારિક પત્ર લખ્યો છે.
ભારત સરકારે પત્રમાં સ્પષ્ટપણે કહ્યું છે કે, BBCના શબ્દોની પસંદગી ઘટનાની ગંભીરતા અને આતંકવાદની વાસ્તવિકતાને ઓછી દર્શાવે છે. આ ઉપરાંત સરકારે એ પણ માહિતી આપી કે હવેથી વિદેશ મંત્રાલય BBCના રિપોર્ટિંગ પર નજીકથી નજર રાખશે. ભારતનું કહેવું છે કે આવી રિપોર્ટિંગ માત્ર ગેરમાર્ગે દોરનારી નથી પણ આતંકવાદ જેવા ગંભીર મુદ્દાને હલકી ગુણવત્તાવાળા બનાવવા સમાન છે, જે અસ્વીકાર્ય છે.