July 4, 2024

રશિયા-યુક્રેન યુદ્ધમાં હૈદરાબાદના વ્યક્તિનો જીવ ગયો, એજન્ટે છેતરીને સેનામાં ભરતી કરાવ્યો

Hyderabad Man killed in Russia-Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધમાં રશિયન આર્મી માટે કામ કરી રહેલા એક ભારતીય નાગરિકનું મોત થયું છે. માહિતી અનુસાર તેને રશિયન સેનામાં સહાયક તરીકે કામ કરવા માટે તેના એજન્ટે છેતરપિંડી કરીને ભરતી કરવામાં આવ્યો હતો. તાજેતરના સમાચાર અનુસાર રશિયન સેના દ્વારા સાત ભારતીય નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. મૃત પામેલો ભારતીય નાગરિક હૈદરાબાદનો છે અને આ વ્યક્તિની ઓળખ મોહમ્મદ અસફાન તરીકે થઇ હતી. જે રશિયન સેનામાં આસિસ્ટન્ટ તરીકે કામ કરતો હતો. 30 વર્ષીય મોહમ્મદ અસફાનને રશિયન સેના માટે કામ કરતી વખતે જીવ ગુમાવ્યો હતો. એજન્ટે કથિત રીતે અસફાનને અન્ય લોકો સાથે એક આસિસ્ટન્ટ તરીકે યુદ્ધના મેદાનમાં ધકેલી દીધો હતો.

રશિયન સેનાએ સાત ભારતીયોની ધરપકડ કરી હતી
મોહમ્મદ અસ્ફાનના મૃત્યુના સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે રશિયન સેનાએ કથિત રીતે સાત ભારતીય નાગરિકોની ધરપકડ કરી છે અને સેનાની સાથે યુક્રેન સામે લડવા માટે તેમને બળજબરીથી યુદ્ધના મેદાનમાં ધકેલી રહી છે. બીજી બાજુ સોશિયલ મીડિયામાં એક વિડિયો પણ સામે આવ્યો છે, જેમાં તે ભારત સરકારને તેના પરત આવવા માટે વિનંતી કરી રહ્યો છે. વિડિયોમાં ભારતીયોએ એવો પણ દાવો કર્યો હતો કે તેઓને બીજા બધા સાથે કરાર પર સહી કરવાની ફરજ પાડવામાં આવી હતી અને તેમને રસોઈયા અને ડ્રાઇવર તરીકે કામ કરવાની ઓફર કરવામાં આવી હતી.

છેતરપિંડી કરીને સેનામાં ભરતી કરી
નોંધનીય છે કે રશિયા-યુક્રેન યુદ્ધ ત્રીજા વર્ષમાં પ્રવેશી ચૂક્યું છે અને આ દરમિયાન ભારતીયો રશિયન સેના માટે કામ કરી રહ્યા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. થોડા અઠવાડિયા પહેલા સમાચાર આવ્યા હતા કે રશિયન સેના સાથે યુદ્ધ લડવા માટે એક ડઝન ભારતીયોને છેતરપિંડીથી આસિસ્ટન્ટ તરીકે ભરતી કરવામાં આવ્યા હતા. જેમાં તેને યુક્રેનની સેના સામે ફ્રન્ટલાઈન પર તૈનાત હતો.બીજી બાજુ અસફાનની જેમ ડઝનબંધ અન્ય ભારતીયો પણ રશિયન સેના સાથે યુક્રેન સામે લડી રહ્યા છે. મોટી સંખ્યામાં ભારતીયો પણ વર્ષોથી રશિયામાં રહે છે, જ્યાં ડઝનબંધ ભારતીય નાગરિકોની રશિયન આર્મીમાં ભરતી કરવામાં આવી હતી.

લગભગ બે લાખ રૂપિયા પગાર ચૂકવવમાં આવી રહ્યો છે
એવું કહેવાય છે કે રશિયન આર્મીમાં સહાયક તરીકે કામ કરતા લોકોને દર મહિને 195,000 રૂપિયાનો પગાર આપવામાં આવી રહ્યો છે. આ સિવાય 50 હજાર રૂપિયા સુધીના અન્ય ઘણા લાભો પણ આપવામાં આવે છે. જેઓ આસિસ્ટન્ટ તરીકે કામ કરવા માંગે છે તેઓએ ઓછામાં ઓછા એક વર્ષ માટે કરાર પર હસ્તાક્ષર કરવા પડશે અને કરાર મુજબ તેઓ અધવચ્ચે છોડીને ભાગી શકતા પણ નથી.