September 17, 2024

મલાઈકા અરોરાના પિતાની કેવી રીતે થઈ મોત? મુંબઈ પોલીસનું નિવેદન આવ્યું સામે

મુંબઈ: બુધવારે સવારે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા હતા. અભિનેત્રી અને અરબાઝ ખાનની પૂર્વ પત્ની મલાઈકા અરોરાના પિતાનું નિધન થયું હતું. આ સમાચાર મળતા જ સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. અરબાઝ તરત જ મલાઈકાના પિતાના ઘરે પહોંચી ગયો. પ્રારંભિક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે મલાઈકાના પિતા અનિલ અરોરાએ તેમના ઘરની બાલ્કનીમાંથી કૂદીને આત્મહત્યા કરી છે. હવે આ સમગ્ર મામલે મુંબઈ પોલીસનું નિવેદન સામે આવ્યું છે.

આ સમગ્ર ઘટના અંગે ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી રાજ તિલક રોશને મીડિયા સાથે વાત કરી હતી. તેમણે કહ્યું, “અનિલ અરોરાનો મૃતદેહ મળી આવ્યો છે. તે આ બિલ્ડીંગના છઠ્ઠા માળે રહેતા હતા. અમારી ટીમ અહીં છે અને અમે મામલાની સંપૂર્ણ તપાસ કરી રહ્યા છીએ.” આ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચના ડીસીપીએ કહ્યું કે તેઓ આ કેસના દરેક એંગલથી વિગતવાર તપાસ કરી રહ્યા છે. અમારી ટીમ અને ફોરેન્સિક ટીમ સ્થળ પર હાજર છે. તેમણે જણાવ્યું કે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે.

મલાઈકા અરોરાના પિતાનું મૃત્યુ કેવી રીતે થયું? આ અંગે રાજ તિલક રોશને કહ્યું, “અમે દરેક બાબતની વિગતવાર તપાસ કરી રહ્યા છીએ. પ્રાથમિક દ્રષ્ટિએ આ આત્મહત્યાનો મામલો લાગે છે. અમે આ મામલે વધુ તપાસ કરી રહ્યા છીએ.”

મલાઈકા અને અમૃતા ઘરે પહોંચ્યા
પિતાના મૃત્યુના સમાચાર મળતા જ મલાઈકા અરોરા ઉતાવળે ઘરે પહોંચી ગઈ હતી. રિપોર્ટ્સ અનુસાર, જ્યારે તેને આ સમાચાર મળ્યા ત્યારે તે પુણેમાં હતી. અમૃતા અરોરા પણ પતિ સાથે પિતાના ઘરે પહોંચી હતી. અનિલ અરોરાના ઘરે પહોંચનારાઓમાં મલાઈકાનો પૂર્વ પતિ અરબાઝ ખાન પણ સામેલ હતો. ખાન પરિવારમાંથી અરબાઝ ત્યાં પહોંચનાર પ્રથમ વ્યક્તિ હતો.

આ ઘટના ક્યારે બની?
અહેવાલો અનુસાર મલાઈકાના પિતા અનિલ અરોરાએ બુધવારે સવારે લગભગ 9 વાગ્યે તેની બિલ્ડિંગના છઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. જ્યારે આ ઘટના બની ત્યારે અનિલ અરોરાના ઘરે તેમના નોકર સિવાય બીજું કોઈ નહોતું. અનિલને મલાઈકા અને અમૃતા નામની બે દીકરીઓ છે. પરંતુ બંને અલગ રહે છે. મલાઈકાના માતા-પિતાના વર્ષો પહેલા છૂટાછેડા થઈ ગયા હતા. જો કે, તેની પૂર્વ પત્ની સાથે તેના સંબંધો સારા હોવાનું કહેવાય છે.