July 5, 2024

કાળી કરતૂતોથી ભરેલો ભોલે બાબાનો ભૂતકાળ! યૌન શોષણ સહિત 5 કેસમાં આરોપી

Hathras Stampede : યુપીના હાથરસમાં સંત ભોલે બાબાના સત્સંગમાં હાજરી આપવા આવેલા 127થી વધુ ભક્તોએ જીવ ગુમાવ્યો હતો. આ અકસ્માત બાદ યુપી પોલીસે તપાસ શરૂ કરી છે. હાલમાં બાબા ક્યાં છે તે જાણી શકાયું નથી. જોકે, પ્રાથમિક તપાસ બાદ સંત ભોલે બાબાના કાળા કૃત્યો સામે આવી રહ્યા છે. તેની સામે યૌન શોષણ સહિત અન્ય પાંચ ગંભીર કેસ નોંધાયેલા છે. આગરામાં એક છોકરીનું મૃત્યુ થયું ત્યારે બાબાએ દાવો કર્યો હતો કે તે છોકરીને જીવતી પાછી લાવી દેશે. ત્યારપછી બાબા વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો.

બાબાનું સાચું નામ સૂરજ પાલ સિંહ છે. સંત બનતા પહેલા ભોલે બાબા પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતા હતા. તેમણે 1990ની આસપાસ પોલીસની નોકરી છોડી દીધી હતી. મળતી માહિતી મુજબ, બાબાને કોઈ કેસમાં જેલ પણ જવું પડ્યું હતું. જેલમાંથી છૂટ્યા બાદ તે પોતાનું નામ અને ઓળખ બદલીને બાબા બની ગયા હતા.

બાબાનું રાજકીય જોડાણ
સ્વયંભૂ ભોલે બાબાને બાબા સાકર હરિ તરીકે પણ ઓળખવામાં આવે છે. 26 વર્ષ પહેલા ગામડાથી શરૂ થયેલા બાબાએ પોતાનો દબદબો એટલો વધારી દીધો છે કે હવે મોટા નેતાઓ પણ તેમના દરબારમાં હાજરી આપે છે. હવે બાબાના જૂના રાજકીય જોડાણો પણ સામે આવ્યા છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ આ બાબાના સત્સંગમાં હાજરી આપી રહ્યા છે. ગયા વર્ષે જાન્યુઆરીમાં સપાના વડા અખિલેશે પણ બાબાના સત્સંગમાં હાજરી આપી હતી અને સોશિયલ મીડિયા પર બાબાના વખાણ કરતી એક પોસ્ટ પણ શેર કરી હતી.

આ પણ વાંચો: વધુ એક બાબા વિવાદમાં, લંડનમાં ભારતીય બાબાને ચમત્કાર કરવો ભારે પડ્યો!

VRS લઈને આધ્યાત્મિકતા સાથે જોડાયેલા બાબાએ પોતાનું નામ બદલી નાખ્યું અને લોકોને સાચા વિશ્વ હરિની સ્તુતિ કરવા માટે પ્રેરિત કરવાનું શરૂ કર્યું. ભોલે બાબાના અનુયાયીઓ તેમને ભગવાન માને છે. અને તેઓ દાવો કરે છે કે તેઓનું ભગવાન સાથે સાક્ષાત્કાર થઈ ચૂક્યું છે. પશ્ચિમ યુપી ઉપરાંત હરિયાણા, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં બાબાના અનુયાયીઓની સંખ્યા લાખોમાં હોવાનું કહેવાય છે.