બેટ દ્વારકામાં ડિમોલિશન દરમિયાન મળ્યું નેપાળી શૈલીનું હનુમાનજીનું મંદિર, પોલીસે કરાવ્યો જીર્ણોદ્ધાર

દેવભૂમિ દ્વારકા: બેટ દ્વારકા ખાતે બાલાપર વિસ્તારમાં થયેલ ડિમોલિશન કાર્યવાહી દરમિયાન બાવળના જંગલમાં એક પૌરાણિક ખંડેર હાલતનું મંદિર જોવા મળ્યું હતું. જેમાં સ્થાનિક વૃદ્ધ તેમજ ભાવીકોની પૂછપરછ દરમ્યાન આ મંદિર 100થી 125 વર્ષ પુરાણું નેપાળી શૈલીનું હનુમાનજીનું મંદિર હોવાની માહિતી સામે આવી હતી.

તેમજ આશરે 40થી 50 વર્ષ પહેલા ડેમોગ્રાફિક પરિસ્થિતિ બદલાતા અસામાજીક તત્વોની ગતિવિધિના કારણે તેમજ ભક્તો – દર્શનાર્થીઓનું જવાનું ઓછું થવા લાગતા મંદિરની પવિત્રતાને ધ્યાનમાં રાખી ત્યાંના ભાવિકો દ્વારા મંદિરમાંથી હનુમાનજીની મૂર્તિને અન્યત્ર સ્થળે સ્થળાંતર કરી દેવામાં આવેલાનું જાણવા મળ્યું હતું.

જેથી દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા આ મંદિરનો પુનઃ જીર્ણોદ્ધાર કરાવી આજરોજ તા. 12 અપ્રિલ, 2025ના હનુમાન જયંતિના શુભ દિને મંદિરની મૂળ હનુમાનજીની મૂર્તિને પરંપરાગત ધાર્મિક વિધિથી પુનઃ સ્થાપિત કરવામાં આવેલ છે. તેમજ આ મંદિરનું નામકરણ ‘બાલા હનુમાન’ મંદિર તરીકે કરવામાં આવ્યું છે.