મક્કામાં પારો 50 ડિગ્રીને પાર, 550 હજયાત્રીઓનાં મોત; 2000ની તબિયત લથડી
![](https://newscapita7e21f6b31c.blob.core.windows.net/blobnewscapita7e21f6b31c/2024/06/Mecca.jpg)
Hajj Yatra 2024: ગરમીના કારણે છેલ્લા કેટલાક દિવસથી હજયાત્રીઓના મોતની ખબર સામે આવી રહી છે. આ વચ્ચે હવે હજ યાત્રા દરમિયાન ઓછામાં ઓછા 550 શ્રદ્ધાળુઓના મોત થયા હતા. મૃતકોમાં 323 ઇજિપ્તના નાગરિકો હતા. બે આરબ રાજદ્વારીઓએ એએફપીને જણાવ્યું હતું કે મોટાભાગના મૃત્યુ ગરમી સંબંધિત બીમારીઓને કારણે થયા છે. એક રાજદ્વારીએ કહ્યું, ‘તે બધા (ઇજિપ્તવાસીઓ) ગરમીને કારણે મૃત્યુ પામ્યા છે. સિવાય કે એક વ્યક્તિ કે જે ભીડમાં ગંભીર રીતે ઘાયલ થઇ ગયો હતો. તેમણે જણાવ્યું કે મક્કા નજીક અલ-મુઈસિમ સ્થિત હોસ્પિટલના શબઘરમાંથી કુલ ડેટા મેળવવામાં આવ્યો હતો.
જોર્ડનના 60 લોકો મૃત્યુ પામ્યા
રાજદ્વારીઓએ જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 60 જોર્ડનિયનો પણ મૃત્યુ પામ્યા હતા. મંગળવારે અમ્માને સત્તાવાર રીતે 41 લોકોના મોતની જાણ કરી હતી. એએફપીના અહેવાલ મુજબ, આ નવા મૃત્યુ સાથે ઘણા દેશો દ્વારા અત્યાર સુધીમાં નોંધાયેલા મૃત્યુની કુલ સંખ્યા 577 પર પહોંચી ગઈ છે. હજ ઇસ્લામના પાંચ સ્તંભોમાંથી એક છે અને બધા મુસ્લિમોએ ઓછામાં ઓછા એક વખત હજ કરવી જોઈએ.
ગયા મહિને પ્રકાશિત થયેલા સાઉદી અધ્યયન મુજબ હજ યાત્રા પર હવામાન પરિવર્તનની અસર પડી રહી છે. જે વિસ્તારમાં ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે ત્યાંનું તાપમાન દર દાયકામાં 0.4 ડિગ્રી સેલ્સિયસ (0.72 ડિગ્રી ફેરનહીટ) વધી રહ્યું છે. સાઉદી રાષ્ટ્રીય હવામાન કેન્દ્રે જણાવ્યું હતું કે સોમવારે મક્કાની ગ્રાન્ડ મસ્જિદમાં તાપમાન 51.8 ડિગ્રી સેલ્સિયસ (125 ફેરનહીટ) પર પહોંચી ગયું હતું.
આ પણ વાંચો: NEET પેપર લીકનો માસ્ટર માઈન્ડ સિકંદર સસ્પેન્ડ, અત્યાર સુધીમાં 14 લોકોની ધરપકડ
2000 થી વધુ યાત્રાળુઓની સારવાર
સાઉદી અધિકારીઓએ ગરમીથી પીડિત 2000 થી વધુ યાત્રાળુઓની સારવાર કરી હોવાનું જણાવ્યું હતું. જો કે, રવિવારથી આ આંકડો અપડેટ કરવામાં આવ્યો નથી અને મૃત્યુ વિશે માહિતી આપવામાં આવી નથી. યાત્રાળુઓ તેમના માથા પર બોટલમાંથી પાણી રેડતા જોવા મળ્યા હતા. ગરમીથી રાહત મેળવવા સ્વયંસેવકો તેમને ઠંડા પીણા અને ચોકલેટ આઈસ્ક્રીમ આપતા જોવા મળ્યા હતા.
સાઉદી અધિકારીઓએ યાત્રાળુઓને છત્રીનો ઉપયોગ કરવા, પુષ્કળ પાણી પીવા અને દિવસના સૌથી ગરમ કલાકોમાં સૂર્યના સંપર્કમાં આવવાથી બચવાની સલાહ આપી હતી. શનિવારે માઉન્ટ અરાફાત પર પ્રાર્થના સહિતની હજની ઘણી ધાર્મિક વિધિઓમાં યાત્રિકોએ દિવસ દરમિયાન કલાકો સુધી બહાર રહેવું જરૂરી હતું.
કુલ કેટલા હજયાત્રીઓએ હજ કરી હતી
સાઉદી અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ વર્ષે લગભગ 1.8 મિલિયન હજયાત્રીઓએ હજમાં ભાગ લીધો હતો. જેમાંથી 1.6 મિલિયન વિદેશથી હતા. ઈન્ડોનેશિયા, ઈરાન અને સેનેગલે પણ હજ દરમિયાન તેમના દેશોના લોકોના મોતની જાણ કરી હતી. પરંતુ મોટાભાગના દેશોએ જણાવ્યું નથી કે ગરમીના કારણે કેટલા લોકોના મોત થયા છે.
સાઉદીના આરોગ્ય મંત્રીનો દાવો
સાઉદીના આરોગ્ય પ્રધાન ફહદ બિન અબ્દુલ રહેમાન અલ-જલાઝેલે મંગળવારે જણાવ્યું હતું કે હજ માટેની આરોગ્ય યોજનાઓ “સફળતાપૂર્વક અમલમાં મુકવામાં આવી હતી”, અધિકૃત સાઉદી પ્રેસ એજન્સીના જણાવ્યા અનુસાર રોગના મોટા પ્રકોપ અને અન્ય જાહેર આરોગ્યના જોખમોને અટકાવવામાં આવ્યા હતા.