July 2, 2024

દિલીપ સાંઘાણીએ વિરોધીઓને લીધા આડેહાથ, કહ્યુ – ચૂંટણી પૂરી, હવે કામે લાગી જાવ

મલ્હાર વોરા, ગાંધીનગરઃ ઇફ્કોની ચુંટણી પૂર્ણ થયાને હજુ ગણતરીના દિવસો થયા છે. ત્યારે હવે ગુજકોમાસોલના ચેરમેન દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. તેનો લેટર વાયરલ કરવામાં આવ્યો છે. જો કે, લેટર વાયરલ થયા બાદ ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સાંઘાણીએ ન્યુઝ કેપિટલની ટિમ સાથે વાતચીત કરીને સમગ્ર મામલે જાણકારી આપી હતી.

દિલીપ સાંઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, આ તમામ આક્ષેપ એક વર્ષ જૂના છે અને જે-તે સમયે જ્યારે આ આક્ષેપો થયા હતા, ત્યારે ગુજકોમાસોલના બોર્ડની બેઠક મળી હતી. જેમાં બોર્ડ સમક્ષ ગુજકોમાસોલના કામગીરીનો રેકોર્ડ રજૂ કરીને હિસાબકિતાબ આપવામાં આવ્યો હતો. જો કે, બોર્ડે પણ ક્લિનચીટ આપી હતી. પરંતુ આ સમગ્ર મામલો ઇફકોની ચૂંટણી હારેલા બીપીન ગોતાએ ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો હોય તેમ લાગી રહ્યું છે, પરંતુ હવે ચૂંટણી પૂર્ણ થઈ છે જેથી ગુજકોમાસોલના વાઇસ ચેરમેન બીપીન ગોતાએ રચનાત્મક કામગીરી કરવા માટે કામે લાગી જવું જોઈએ.

આ ઉપરાંત દિલીપ સાંઘાણીએ પ્રતિસ્પર્ધી પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, સુરતમાંથી પણ કેટલી માહિતીઓ સામે આવી છે કે, ધારાસભ્યોને એક કરતાં વધુ હોદ્દાઓ આપવામાં આવ્યાં છે. ત્યારે નીતિ-નિયમો જોવા મળતા નથી અને જયેશ રાદડિયાને ધારાસભ્ય સહિત અન્ય હોદ્દો ન મળે તે માટે રાજકીય આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ મારે માત્ર મારા વિકાસના કામથી જ મતલબ છે.