હું રાજકારણમાં એન્ટ્રી નહીં કરું, દરેક પક્ષમાંથી રાજનીતિમાં આવવાની ઓફરઃ વિક્રમ ઠાકોર

ગાંધીનગરઃ થોડા સમય પહેલાં કલાકારોની વિધાનસભા મુલાકાતને લઈને વિવાદ થયો હતો. ત્યારે અન્ય કલાકારોને પણ વિધાનસભામાં આમંત્રણ પાઠવી સમગ્ર મામલો શાંત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ અટકળો વહેતી થઈ હતી કે, ગુજરાતી અભિનેતા વિક્રમ ઠાકોર રાજકારણમાં પ્રવેશ કરશે.
આ મામલે ગુજરાતી અભિનેતા વિક્રમ ઠાકોરે સ્પષ્ટતા આપતા જણાવ્યુ છે કે, ‘હું રાજકારણમાં એન્ટ્રી નહીં કરું. સમય આવે ત્યારે નિર્ણય કરીશ. AAPના સંયોજક અરવિંદ કેજરીવાલે વિક્રમ ઠાકોર સાથે વાતચીત કરી હતી. ઈસુદાન ગઢવી મારફતે કેજરીવાલ સાથે વાત થઈ હતી. દરેક પક્ષમાંથી મને રાજનીતિમાં આવવા માટેની ઓફર આવે છે.’
તેઓ વધુમાં જણાવે છે કે, ‘વિધાનસભામાં આવવા માટેનું મને આમંત્રણ મળ્યું હતું. પરંતુ મારો ફોન બંધ હતો. જો હું વિધાનસભામાં જતો તો એવું લાગતું કે સન્માન માટે મેં વિરોધ કર્યો એટલે હું નથી ગયો. મારી નારાજગી દૂર થઈ ગઈ છે. બધા કલાકારોને સરકારે બોલાવી લીધા એ મારા માટે ગૌરવની વાત છે.’