News 360
Breaking News

રાજ્યમાં 2023 કરતાં 2024માં ડેન્ગ્યુના કેસમાં ઘટાડો, પોઝિટિવિટી રેટ 3.5% રહ્યો

ગાંધીનગરઃ ચોમાસા અને શિયાળાની ઋતુ દરમિયાન ઋતુજન્ય અને પાણીજન્ય વિવિધ રોગોનું પ્રમાણ જોવા મળતું હોય છે. તેમાં પણ ડેન્ગ્યુના કેસ પણ મહદઅંશે સમગ્ર રાજ્યમાં જોવા મળે છે. રાજ્ય સરકારે આ વર્ષ પ્રો-એક્ટિવ અભિગમ દાખવીને ચોમાસાની ઋતુ પૂર્ણ થતા જ તકેદારીના પગલે સિરમ સેમ્પલ ટેસ્ટીંગમાં મોટી સંખ્યામાં વધારો કર્યો છે. જનજાગૃતિ અને સઘન સારવારના પરિણામે આ વર્ષે ડેન્ગ્યુના કેસમાં સકારાત્મક પરિણામ પણ જોવા મળ્યાં છે.

વર્ષ ૨૦૨૩માં 1,49,844 સીરમ સેમ્પલ ડેન્ગ્યુના નિદાન માટે લેવામાં આવ્યા હતા, તેમાંથી 7088 ડેન્ગ્યુના પોઝિટિવ કેસો માલુમ પડ્યા હતા. એટલે કે પોઝિટીવિટી દર 4.7% રહ્યો હતો. જ્યારે વર્ષ 2024 દરમિયાન 2,21,358 સેમ્પલ ડેન્ગ્યુના નિદાન માટે લેવામાં આવ્યા હતા, તેમાંથી 9820 ડેન્ગ્યુના કેસો પોઝિટિવ માલૂમ પડ્યા હતા. આ દર્શાવે છે કે વર્ષ 2024માં ડેન્ગ્યુનો પોઝિટીવિટી દર 3.5% રહ્યો હતો.

આ વર્ષે ડેન્ગ્યુના ત્વરિત નિદાન માટે ડેન્ગ્યુ NS1 પ્રકારની 1700 કીટ એટલે કે ૧,૬૩,૨૦૦ ટેસ્ટ રાજ્ય સરકાર દ્વારા ખરીદી કરી નિદાન કેન્દ્રોને પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત ભારત સરકાર તરફથી પ્રાપ્ત 611 ડેન્ગ્યુ IGM કીટ (૫૮૬૫૬ ટેસ્ટ) નિદાન કેન્દ્રોને ફાળવવામાં આવી હતી. રાજ્યના તમામ જિલ્લાઓ અને મહાનગરપાલિકા વિસ્તારમાં અઠવાડિક પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવે છે.

હાઉસ ટુ હાઉસ ફીવર સર્વે, એન્ટીલાર્વલ એક્ટિવિટિઝ તથા પ્રચાર પ્રસારની કામગીરીના ત્રણ રાઉન્ડ એપ્રિલ, મે અને સપ્ટેમ્બર માસ દરમિયાન ઝૂંબેશ રૂપે હાથ ધરી રાજ્યની અનુક્રમે 86%, 89% અને 92% વસતિને આ કામગીરી હેઠળ આવરી લેવામાં આવી છે. ચોમાસાની ઋતુ દરમિયાન સંવેદનશીલ વિસ્તારોમાં 2460 માણસોની 492 વેક્ટર કંટ્રોલ ટીમે રોગ સર્વેક્ષણ અને પોરાનાશક સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી.

રાજ્યમાં 47થી 51મા અઠવાડિયા દરમિયાન ડેન્ગ્યુ કેસમાં સતત ઘટાડો નોંધાયો છે તથા 50 અને 51મા અઠવાડિયા દરમિયાન વર્ષ 2023ની સરખામણીએ વર્ષ 2024માં ડેન્ગ્યુ કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. રાજ્યના 1139 સ્પેશ્યાલિસ્ટને ‘ક્લિનિકલ મેનેજમેન્ટ ઓફ ડેન્ગ્યુ’ અંગેની તાલીમ આપવામાં આવી છે.

ડેન્ગ્યુ માટે રાજ્યમાં કયા પ્રકારનો વાયરસ સંક્રમિત છે, તે જાણવા માટે સીરમ સેમ્પલ તથા મોસ્કીટો બીજે મેડિકલ કોલેજ તથા GBRC ગાંધીનગર ખાતે મોકલી સીરોટાઈપ નક્કી કરવામાં આવે છે અને તેના પરિણામો પ્રમાણે રોગ અટકાયત અને નિયંત્રણ કામગીરીનું આયોજન અને અમલીકરણ કરવામાં આવ્યું છે. રોગના નિયંત્રણ માટે જરૂરી તમામ લાર્વીસાઈડ, એડલ્ટીસાઈડ વગેરે પૂરતા પ્રમાણમાં સમયસર તમામ કક્ષાએ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.