September 17, 2024

BJP સદસ્યતા અભિયાન અમદાવાદમાં ગોકળગતિએ, CM ભૂપેન્દ્ર પટેલ સૌથી આગળ

જયેશ ચૌહાણ, અમદાવાદઃ દેશભરમાં બીજેપી દ્વારા 2 સપ્ટેમ્બરથી સદસ્યતા અભિયાન 2024નો પ્રારંભ કરવામાં આવ્યો છે અને 3 સપ્ટેમ્બરના ગુજરાતમાં સદસ્યતા અભિયાનનો પ્રારંભ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે CM ભૂપેન્દ્ર પટેલને સદસ્યતા અપાવી કરાવ્યો હતો. પરંતુ જે સદસ્યતા અભિયાનના પ્રારંભના પ્રથમ સપ્તાહમાં અમદાવાદથી આંકડાઓ સામે આવી રહ્યાં છે તે બીજેપીના અભિયાનમાં અમદાવાદ શહેરના ધારાસભ્યો અને કાર્યકર્તાઓમાં નિરસતા હોવાનું સૂચવી રહ્યાં છે. 9 સપ્ટેમ્બરે સવાર સુધીમાં ગુજરાતમાં કુલ 27 લાખ સભ્યો બન્યાં છે અને અમદાવાદની વિધાનસભાઓમાં CM ભૂપેન્દ્ર પટેલ સૌથી આગળ ચાલી રહ્યાં છે. ગુજરાત બીજેપી સદસ્યતા અભિયાનના સંયોજક કેસી પટેલ દ્વારા વિધાનસભાઓમાં 1 લાખ સભ્યો બનાવવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે.

CM ભૂપેન્દ્ર પટેલ સૌથી આગળ
સદસ્યતા અભિયાન અંતર્ગત 3 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર સુધીમાં અમદાવાદ શહેરની વિધાનસભાઓના ડેટાઓનું વિશ્લેષણ કરતા એ વાત સામે આવી છે કે, જે રીતે CM ભૂપેન્દ્ર પટેલ વિધાનસભા ચૂંટણીમાં સૌથી વધુ મતો સાથે વિજેતા બન્યા હતા. તે જ રીતે સદસ્યતા અભિયાનમાં પણ ઘાટલોડિયા વિધાનસભા શહેરમાં સૌથી આગળ ચાલી રહી છે. 8 સપ્ટેમ્બરે સાંજ સુધીમાં CM ભૂપેન્દ્ર પટેલની ઘાટલોડિયા વિધાનસભામાં 33000 સભ્યો બની ચૂક્યા છે. સદસ્યતા અભિયાન હેઠળ તમામ ધારાસભ્યોને વિધાનસભામાં 1 લાખ સભ્યો બનાવવા માટે ટાર્ગેટ આપવામાં આવ્યો છે.

દરિયાપુર-બાપુનગરમાં ગોકળગતિએ અભિયાન
અમદાવાદ શહેરની વિધાનસભાઓમાં 9 સપ્ટેમ્બર સવાર સુધીના ડેટાનું એનાલિસિસ કરતા એ વાત સામે આવી છે કે, અમદાવાદની તમામ વિધાનસભામાંથી દરિયાપુર વિધાનસભામાં સદસ્યતા અભિયાનને લઈ કોઈ ઉત્સાહ જોવા નથી મળી રહ્યો. ધારાસભ્ય કૌશિક જૈનની દરિયાપુર વિધાનસભામાં એક અઠવાડિયામાં માત્ર 3855 જેટલા જ સભ્યો નોંધાયા છે. કૌશિક જૈન કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શૈખને હરાવીને વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. પરંતુ હાલની સ્થિતિએ ચૂંટણીમાં મળેલા મતોને પક્ષની સાથે જોડવામાં સફળતા ન મળતી હોય તેવું લાગી રહ્યું છે. બાપુનગર વિધાનસભામાં પણ સદસ્યતા અભિયાનને લઈ નિરસતા જોવા મળી રહી છે. 9 સપ્ટેમ્બરના સવાર સુધીમાં બાપુનગર વિધાનસભામાં પણ અંદાજે 8000 જેટલા જ સભ્યો બન્યા છે.

વટવા, વેજલપુર, નરોડા અને સાબરમતીમાં સારુ પ્રદર્શન
અમદાવાદમાં ચાલી રહેલા સદસ્યતા અભિયાનના આંકડાઓ પર નજર ધારાસભ્ય બાબુસિંહ જાદવની વટવા વિધાનસભામાં 21,695 સભ્યો, ધારાસભ્ય અમિત ઠાકરની વેજલપુર વિધાનસભામાં અંદાજિત 20,000 સભ્યો અને ધારાસભ્ય પાયલ કુકરાણીની નરોડા વિધાનસભામાં 9 સપ્ટેમ્બરે સવાર સુધીમાં 14,000 સભ્યો અને ધારાસભ્ય જીતુ ભગતની નારણપુરા વિધાનસભામાં 15,000 જેટલા સભ્યો બનાવવામાં આવ્યા છે.

સાબરમતી અને મણિનગરમાં પણ 10 હજાર સભ્યો
અમદાવાદના ધારાસભ્ય અમુલ ભટ્ટની મણિનગર વિધાનસભામાં પ્રથમ સપ્તાહમાં 13,500 જેટલા પ્રાથમિક સભ્યો બન્યા છે. તો બીજી તરફ ધારાસભ્ય હર્ષદ પટેલની સાબરમતી વિધાનસભામાં 11,500 જેટલા સભ્યો બનાવવામાં આવ્યા છે.

વિધાનસભા વાઇઝ કંટ્રોલ રૂમ
ગુજરાતમાં ચાલી રહેલા સદસ્યતા અભિયાનને લઈ ગુજરાતના જિલ્લાઓ અને વિધાનસભાઓમાં કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યા છે. આ સાથે સાથે પ્રદેશ લેવલથી પણ રોજના ડેટાઓ મંગાવવામાં આવી રહ્યાં છે. ગુજરાત સદસ્યતા અભિયાનના સંયોજક કેસી પટેલ ખુદ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે બેસીને તમામ કામગીરી અને ડેટાઓ પર પણ નજર રાખી રહ્યાં છે. સંયોજક કેસી પટેલ ખુદ જિલ્લાઓમાં ટેલિફોનિક વાતચીત કરીને સદસ્યતા અભિયાન અંતર્ગત ચાલી રહેલી કામગીરીનું મોનિટરિંગ પણ કરી રહ્યાં છે.

ધીમીગતિના સદસ્યતા અભિયાનના કારણો
ગુજરાતમાં સદસ્યતા અભિયાન શરૂ થયા બાદ વિવિધ સ્થળો પર વિવિધ મોરચાઓ અને હોદ્દેદારોની સતત બેઠકો મળી રહી છે. જેમાં સદસ્યતા અભિયાનને લઈ અલગ અલગ સેક્ટરના લોકો સુધી પણ પહોંચી રહ્યાં છે. આવતીકાલથી બીજેપીનું આ સદસ્યતા અભિયાન કોલેજો સુધી પણ પહોંચવાનું છે. પરંતુ ધીમી ગતિએ ચાલી રહેલા સદસ્યતા અભિયાન અંગે બીજેપીના નેતાઓ સાથે વાત કરવામાં આવે છે. તેઓ જણાવે છે કે, હાલ તહેવારો ચાલી રહ્યાં છે સાથે જે પ્રકારને વરસાદનું જોર પણ જોવા મળ્યું છે. તેને કારણે પ્રથમ અઠવાડિયામાં સદસ્યતા અભિયાનની કામગીરી ધીમી જોવા મળી છે. પરંતુ હવેથી આ અભિયાન પોતાની ગતિ પકડશે અને 2 કરોડનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે. તે મેજીક ફિગર સુધી પણ ગુજરાતમાં બીજેપી પહોંચશે.’