September 15, 2024

દીવના દરિયાકિનારે આવેલું છે પાંડવકાલિન શિવાલય, સમુદ્રદેવ આખો દિવસ કરે છે જળાભિષેક

વિવેક ચુડાસમા, અમદાવાદઃ આજે છે સોમવતી અમાસ અને શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ. આજે શિવાલયયાત્રા પહોંચી ગઈ છે દીવના દરિયાકિનારે. અહીં આવેલું છે પાંડવકાલિન ‘ગંગેશ્વર મહાદેવ’નું શિવાલય. આવો જાણીએ તેનો ઇતિહાસ અને અવનવી વાતો…

શું છે પૌરાણિક કથા?
એવી માન્યતા છે કે, વનવાસ દરમિયાન પાંચેય પાંડવો અહીં આવ્યા હતા અને ભગવાન શિવની પૂજા કરી હતી. ત્યારબાદ દરેક પાંડવને મહાદેવે દર્શન આપ્યા અને સ્વયંભૂ શિવલિંગ તરીકે પ્રગટ થયા હતા. પાંડવોએ અમાસની રાતના દિવસે અહીં સ્વયંભૂ શિવલિંગ પર પૂજા કરી હતી. ત્યારથી આ મંદિરમાં પાંચ શિવલિંગની પૂજા કરવામાં આવે છે. એવું કહેવાય છે કે, આ દરેક શિવલિંગ સામે નંદીની પ્રતિમા પણ હતી. પરંતુ કાળક્રમે પ્રતિમા નાશ પામી છે.

સમુદ્રદેવ દિવસભર કરે છે જળાભિષેક
આ મંદિર સમુદ્રકિનારે આવેલું છે. ત્યારે દિવસભર સમુદ્રદેવ મહાદેવનો જળાભિષેક કરતા હોય છે. આ નજારો ખૂબ જ મનોરમ્ય હોય છે. ગંગેશ્વર મહાદેવ મંદિરમાં ભગવાન ગણેશ, ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની મૂર્તિઓ પણ છે. આ મંદિરની આસપાસનું વાતાવરણ એટલું શાંતિપૂર્ણ છે કે, જ્યારે પણ કોઈ આ મંદિરના પ્રાંગણમાં પ્રવેશ કરે છે, ત્યારે તેને સમુદ્રનાં મોજાંઓનો અવાજ સ્પષ્ટપણે સંભળાય છે.

અરબી સમુદ્રના કિનારે આવેલા આ મંદિરનું નામ ગંગેશ્વર રાખવામાં આવ્યું છે. કારણ કે, ભગવાન શિવનું એક નામ ‘ગંગેશ્વર છે. માતા ગંગાને જટામાં ધારણ કરતાં જ તેમને ‘ગંગેશ્વર’ કહેવાયા. તે નામ પરથી આ મંદિરને ‘ગંગેશ્વર મહાદેવ’ તરીકે ઓળખવામાં આવે છે. ગંગેશ્વર મહાદેવ મંદિરમાં પાંચ શિવલિંગ છે, તેથી આ મંદિરને ֥‘પંચ શિવલિંગ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિરને ‘દરિયાકિનારાના મંદિર’ તરીકે પણ સ્થાનિક લોકો ઓળખાવે છે.