July 4, 2024

મહારાષ્ટ્રમાં કોંગ્રેસને મોટો ફટકો, પૂર્વ CMએ આપ્યું રાજીનામું

મહારાષ્ટ્ર: લોકસભા ચૂંટણીની જાહેરાત ગમે તે સમયે થઈ શકે એવી સ્થિતિ ચાલી રહી છે. ત્યારે મહારાષ્ટ્રમાંથી કોંગ્રેસમાંથી મોટા સમાચાર મળી રહ્યા છે. મહારાષ્ટ્રના પૂર્વ CM અને કોંગ્રેસના કદાવર નેતા અશોક ચવ્હાણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે ધારાસભ્ય પદમાંથી રાજીનામું આપી દીધું છે. એવી પણ ચર્ચા ચાલી રહી છે કે ચવ્હાણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે. મહત્વનું છેકે, અશોક ચવ્હાણ સાથે વધુ ત્રણ નેતાઓએ પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે.

અશોક ચવ્હાણ પણ જો ભાજપમાં જોડાશે તો મહારાષ્ટ્ર કોંગ્રેસ માટે આ ત્રીજો મોટો ઝટકો હશે. આ પહેલા મિલિંદ દેવડા અને બાબા સિદ્દીકીએ પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. સિદ્દીકી અજિત પવાર ગુટની એનસીપીમાં જોડાશે. તો બીજી તરફ દેવડા શિંદેની શિવસેનામાં શામિલ થશે.શા માટે છોડ્યું કોંગ્રેસ?
સુત્રો અનુસાર, અશોક ચવ્હાણ મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પરોલેથી નારાજ છે. તેમને પાર્ટીએ લોકસભા ચૂંટણી લડવા માટે કહેવામાં આવ્યું છે, પરંતુ અશોકે ચૂંટણી લડવાની ના કહી હતી. તેમનું કહેવું છેકે, દેશમાં હાલ મોદી અને BJP લહેર ચાલી રહી છે. આ ઉપરાંત અશોક ચવ્હાણ નાના પટોલેના વિધાનસભા અધ્યક્ષ પદ છોડવાને લઈને પણ નારાજ છે. તેમનું માનવું છેકે, પટોલેના કારણે જ મહારાષ્ટ્રમાં કોંગ્રેસની સરકાર ગઈ હતી.

મહત્વનું છેકે, મહારાષ્ટ્રના વિધાનસભા સ્પીકર રાહુલ નાર્વેકરની સાથે મુલાકાત કરી હતી. એવું પણ કહેવાઈ રહ્યું છેકે, રાજીનામું આપવા પહેલા નાર્વેકરને મળવા પહોંચ્યા હતા. અશોક ચવ્હાણના રાજીનામાંની વચ્ચે નાના પટોલે દિલ્હી જવા માટે રવાના થયા છે. નોંધનીય છેકે, મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીની સાથે વિધાનસભા ચૂંટણી પણ થવાની છે.