July 4, 2024

સુરતમાં શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ ચાલતી ખાણીપીણીની દુકાનો પર ફૂડ વિભાગનું સર્ચ

અમિત રૂપાપરા, સુરત: વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને શાળા કોલેજની આસપાસ ચાલતી ખાણીપીણીની દુકાનો પર સુરત શહેર પોલીસ દ્વારા ફૂડ વિભાગને સાથે રાખીને સર્ચની કામગીરી હાથ ધરવામાં આવ્યું હતું. સુરતમાં 62 શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ ચાલતી 129 જેટલી ખાણીપીણીની દુકાનો પરથી ખાદ્ય પદાર્થના સેમ્પલો લેવામાં આવ્યા હતા. જેને ફૂડ વિભાગ દ્વારા લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે અને જો આ સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ જો કોઈ વસ્તુમાં ભેળસેળ જણાશે તો જે તે વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં લઈને સુરત શહેર પોલીસ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી.

સુરત શહેરમાં શાળા કોલેજ જેવી અલગ-અલગ શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ ચાલતી ખાણીપીણીની દુકાનો પર કયા પ્રકારનું ફૂડ વેચવામાં આવી રહ્યું છે તે બાબતે સુરત પોલીસ દ્વારા એક ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓનું આરોગ્ય ન જોખમાય એટલા માટે સુરત શહેર પોલીસની SOG, પીસીબી સહિત ઝોન 4, 5 અને 6ની અલગ-અલગ ટીમ દ્વારા સુરતમાં 62 શૈક્ષણિક સંસ્થાઓ પાસે 129 સ્થળ પર શાળા કોલેજની આસપાસ ચાલતી પાણીની દુકાનો પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

પોલીસની ટીમની સાથે આરોગ્ય વિભાગના ફૂડ વિભાગની ટીમ દ્વારા દુકાનો પરથી વડાપાઉ, ઈડલી, સેવ અને આલુપુરીમાં ઉપયોગમાં લેવામાં આવતા શાક સહિતની વસ્તુઓના સેમ્પલો લેવામાં આવ્યા હતા. આ સેમ્પલોને લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલવામાં આવશે અને તમામ સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ જો કોઈ વસ્તુમાં ભેળસેળ જણાશે તો જવાબદાર સામે ફૂડ વિભાગ દ્વારા નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: SSG હોસ્પિટલની કેન્ટીનમાં શાકભાજીમાં વંદા ફરતા નજરે પડ્યા

મહત્વનું છે કે વર્તમાન સમયમાં શાળા કોલેજની આસપાસ જે ખાણીપીણીની દુકાનો ચાલતી હોય છે. ત્યાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ અલગ-અલગ નાસ્તો કરવા માટે જતા હોય છે. ત્યારે ઘણી વખત દુકાનદાર વધુ પૈસા કમાવવાની લાલચમાં ખાદ્ય પદાર્થમાં ભેળશેળ કરીને તેનું વેચાણ કરતા હોય છે. તેના જ કારણે આવો ખોરાક ખાવાથી વિદ્યાર્થીઓનું આરોગ્ય જોખમાતું હોય છે. ત્યારે આવા દુકાનદારો સામે કાર્યવાહી કરવા માટે અને વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં લઈને સુરત શહેર પોલીસ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.