July 6, 2024

ટીવી અભિનેતા કરણ વાહી અને ક્રિસ્ટલ EDની રડાર પર, નિયા શર્માને પણ મોકલ્યું સમન્સ

મુંબઈ: ફરી એકવાર સ્ટાર્સ મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના રડાર પર છે. આ વખતે EDએ બુધવારે મની લોન્ડરિંગ કેસમાં ટેલિવિઝન અભિનેતા કરણ વાહી અને અભિનેત્રી ક્રિસ્ટલ ડિસોઝાની પૂછપરછ કરી છે. આ પ્રખ્યાત ટીવી સ્ટાર્સ પર પૈસાના બદલામાં ઓનલાઈન ફોરેક્સ ટ્રેડિંગ એપ OctaFx ને પ્રમોટ કરવાનો આરોપ છે.

એજન્સીના અધિકારીઓએ આ કલાકારોને ગેરકાયદે ઓનલાઈન વિદેશી વેપાર અંગે પૂછપરછ કરી હતી. આ કેસમાં અભિનેત્રી નિયા શર્માને પણ પૂછપરછ માટે સમન્સ જારી કરવામાં આવ્યું છે. આ કેસમાં EDએ એપ્રિલમાં દિલ્હી અને મુંબઈ સહિત અનેક શહેરોમાં દરોડા પાડ્યા હતા. હવે નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે.

ત્રણેય પ્રખ્યાત સ્ટાર્સ છે
ક્રિસ્ટલ ડિસોઝા, કરણ વાહી અને નિયા શર્માની ગણતરી નાના પડદાના ફેમસ સ્ટાર્સમાં થાય છે. કરણ વાહી દિલ મિલ ગયે અને ચન્ના મેરેયા જેવી ટીવી સિરિયલોમાં જોવા મળ્યો હતો. જેના પછી તેને ઘણી ખ્યાતિ મળી. કરણ વાહી દાવત-એ-ઈશ્ક અને હેટ સ્ટોરી 4 જેવી ફિલ્મોમાં પણ જોવા મળ્યો છે. આ દિવસોમાં તે સોની લિવના શો રાયસિંઘાણી વર્સેસ રાયસિંઘાણીમાં જોવા મળે છે.

આ પણ વાંચો: રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથ કેમ પડે છે બીમાર? જાણો પૌરાણિક કથા

નિયા શર્મા અને ક્રિસ્ટલ ડિસોઝા 2011 થી 2013 સુધી ચાલતી ટીવી સીરિયલ એક હજારો મેં મેરી બેહનામાં જોવા મળી હતી. આ સિરિયલમાં બંનેને ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. ક્રિસ્ટલ બ્રહ્મરાક્ષસ, બેલન વાલી બહુ અને નયી પહેચાન જેવી સિરિયલોમાં પણ જોવા મળી છે.

નિયા શર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. હાલમાં તે ટીવી સિરિયલ સુહાગન ચૂડૈલમાં જોવા મળી રહી છે. આ સિવાય તે લાફ્ટર શેફમાં પણ કામ કરી રહી છે. નિયા શર્માએ 2010માં ટીવી સિરિયલ કાલીઃ એક અગ્નિપરીક્ષાથી અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. નિયા શર્માને ટીવી સિરિયલ જમાઈ રાજામાં પણ ખૂબ પસંદ કરવામાં આવી હતી.