‘આતંકવાદને સામાન્ય ન થવા દો’, વિદેશ મંત્રી એસ જયશંકરે બાંગ્લાદેશને ઠપકો આપ્યો

ફાઇલ ફોટો
S.Jai Shankar: વિદેશ મંત્રી એસ. જયશંકરે બાંગ્લાદેશના વિદેશ બાબતોના સલાહકાર તૌહીદ હુસૈનને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ઢાકાએ આતંકવાદને સામાન્ય ન થવા દેવો જોઈએ. વિદેશ મંત્રાલયે આ વાતનો ખુલાસો આજે કર્યો. બંને નેતાઓ આ અઠવાડિયાની શરૂઆતમાં મસ્કતમાં મળ્યા હતા.
બેઠક પછી, જયશંકરે કહ્યું હતું કે બાંગ્લાદેશમાં વચગાળાની સરકારના વિદેશ બાબતોના સલાહકાર સાથેની વાતચીત દ્વિપક્ષીય સંબંધો અને BIMSTEC પર કેન્દ્રિત હતી. બીજી તરફ, બાંગ્લાદેશી પક્ષે કહ્યું કે હુસૈને સાર્ક સ્થાયી સમિતિની બેઠક યોજવાના મહત્વ પર પ્રકાશ પાડ્યો અને ભારત સરકારને આ બાબત પર વિચાર કરવા વિનંતી કરી.
મસ્કતમાં બાંગ્લાદેશી સમકક્ષો મળ્યા હતા
નોંધનીય છે કે, વિદેશ મંત્રીએ 16 ફેબ્રુઆરીએ મસ્કતમાં હિંદ મહાસાગર પરિષદ દરમિયાન બાંગ્લાદેશ સહિત પડોશી દેશોના તેમના સમકક્ષો સાથે ઘણી બેઠકો કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, “સાર્ક પર ચર્ચા કરવામાં આવી હતી કે કેમ તે અંગે…હા,મસ્કતમાં જ્યારે વિદેશ મંત્રી ઢાકાના વિદેશ સલાહકારને મળ્યા ત્યારે બાંગ્લાદેશ દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.
એ વાત સ્વીકારવામાં આવી હતી કે દક્ષિણ એશિયામાં દરેક વ્યક્તિ જાણે છે કે કયો દેશ અને કઈ પ્રવૃત્તિઓ સાર્કને વિક્ષેપિત કરવા માટે જવાબદાર છે. વિદેશ મંત્રીએ કહ્યું કે બાંગ્લાદેશ માટે આતંકવાદને સામાન્ય ન કરવો તે મહત્વનું છે.
મસ્કત બેઠક અંગે બાંગ્લાદેશી મીડિયાએ દાવો કર્યો હતો કે ચર્ચા દરમિયાન પ્રોફેસર યુનુસ અને PM નરેન્દ્ર મોદી વચ્ચે સંભવિત મુલાકાત અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. બાંગ્લાદેશી મીડિયા અનુસાર, વાતચીત દરમિયાન, એપ્રિલમાં બેંગકોકમાં યોજાનારી BIMSTEC સમિટ દરમિયાન મુખ્ય સલાહકાર પ્રોફેસર મુહમ્મદ યુનુસ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે બેઠક યોજવાનો મુદ્દો પણ ચર્ચામાં આવ્યો.