July 2, 2024

પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા શાળાઓને 13 જૂન પેહલા ફાયર સેફટી NOC લેવા આદેશ

આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદ: રાજકોટમાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં 28 લોકો ભડથું થઇ ગયા બાદ તંત્ર જાગ્યું છે અને રાજ્યના તમામ ગેમઝોનમાં તપાસના આદેશ આપી દેવાયા છે. ત્યાં જ જે ગેમઝોન કે મોલમાં ફાયર સેફ્ટી નથી અથવા નિયમોનો ઉલ્લંઘન કરવામાં આવ્યું છે તેને સીલ મારી દેવામાં આવ્યું છે. આવામાં પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા શાળાઓને આદેશ કરવામાં આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, તમામ શાળાઓએ 13 જૂન નવું સત્ર શરૂ થાય છે તે પેહલા NOC લેવા આદેશ કર્યો છે. સાથે જ શાળાના સંચાલકે ફાયર NOCનું સેલ્ફ ડેકલેરેશન આપવું ફરજીયાત છે.

શાળા 9 મીટર કે 9 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતી સંસ્થાઓની ઇમારતમાં લઘુત્તમ ફાયર સેફ્ટીની સુવિધા કરવા બાબતે આપેલ વિગતો અનુસારની સુવિધા ઉપલબ્ધ છે કે કેમ? તેની તપાસ અધિકારી મારફત ચકાસણી કરવાની રહેશે. ફાયર એકસ્ટીગ્યુશર એક્ષપાયર થયેલ છે કે કેમ? તેની પણ ચકાસણી કરવા આદેશ અપાયો છે.

આ પણ વાંચો: ઇતની જલ્દી ક્યું સ્કૂલ ચલે હમ ?

શૈક્ષણિક સંસ્થા 9 મીટર કે 9મીટરથી વધુ ઊંચાઈ ધરાવતી હોય તેમજ એમાં જો બેઝમેન્ટ હોય તો તેનું ક્ષેત્રફળ 200 ચો.મી.થી વધુ હોય તેવા કિસ્સામાં ફાયર અધિકારી પાસેથી ફાયર સેફટી સર્ટીફિકેટ નિયમાનુસાર મેળવવું ફરજીયાત કરવામાં આવ્યું છે.

રાજકોટ અગ્નિકાંડના પડઘા
ઉલ્લેખનિય છે કે, 25 મે, 2024ના દિવસે સાંજે રાજકોટના કાલાવડ રોડ પર આવેલા TRP ગેમઝોનમાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં અત્યાર સુધીમાં 28નાં મોત થયા છે અને મોટી માત્રામાં લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. આગને પગલે ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી છે. આગને પગલે 5 કિલોમીટર દૂર ધૂમાડાના ગોટેગોટા દેખાતા હતા. મહત્વનું છે કે, ખાલી એક કલાકમાં જ 24 મૃતહેદો હોસ્પિટલની અંદર પહોંચ્યા હતા. જેને લઈ આખી હોસ્પિટલ મૃતહેદોની છાવણીમાં ફેરવાઈ ગયું હતું. મહત્વનું છે કે, ગેમઝોન પાસે ફાયર NOC જ નહોતી.