નર્મદાના દેવમોગરા ખાતે શિવરાત્રીએ શિવ નહીં પણ શક્તિની પૂજા થાય છે

પ્રવિણ પટવારી, નર્મદા: આમ તો શિવરાત્રીએ શિવની પુજા થતી હોય છે પરંતુ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં આવેલ દેવમોગરા ખાતે શિવ નહીં પણ શક્તિની પુજા થાય છે. અહીં પાંડોરી માતાના 5 દિવસ ચાલનારા મેળામાં ગુજરાત સહીત ચાર રાજયોમાંથી લાખો આદિવાસી શ્રદ્ધાળુઓ આવે છે અને બાઘા આખળી પુરી કરે છે. ત્યારે જોઈએ ન્યુઝ કેપિટલના આ ખાસ અહેવાલમાં…

શિવરાત્રી એટલે ભોળાનાથને રીઝવવાનો દિવસ પણ અહીં નર્મદા જિલ્લામાં મહાશિવરાત્રીની શિવ નહીં પણ શક્તિની આરાધના સમો પાંડોરી માતાનો ચાર દિવસનો મેળો ભરાય છે અને અહીં ગુજરાત, મહારાષ્ટ્ર, મઘ્યપ્રદેશ અને રાજસ્થાનથી આદીવાસીઓ આવે છે અને કુળદેવી પાંડોરી માતાને નમન કરે છે. બાઘા આખળી પુરી કરે છે. ઇ.સ.પૂર્વે સન 1085માં અહીં સાગબારાના રાજવી પરિવાર દ્વારા આ મંદિર બનાવી પુજન કર્યા બાદ આજ સુધી રાજવી પરીવાર દ્વારા જ અહીં શિવરાત્રીએ પુજન કરાય છે, પરંતુ સન 1983થી વ્યવ્સ્થાના ભાગરૂપે એક ટ્રસ્ટ બનાવાયુ છે. ભારતભરમાં આઠ ટકા વસ્તી આદિવાસીની છે. તેમાંય ગુજરાતમાં વસતા 15 ટકા તથા ભારત ભરના આદિવાસીએાની કુળદેવી મા પાંડોરી હોવાથી પાંચ દિવસ ચાલનારા આ મેળામાં આદીવાસીઓની સંખ્યા અગણીત હોય છે અને સ્વયં શીસ્તમાં માનનારા આ લોકો 12થી 48 કલાક લાઇનમાં ઉભા રહીને પણ માતાના દર્શન કરે છે. નૈવેઘમાં આ લોકો નવા વાંસમાંથી બનાવેલી ટોપલીમાં નવુ ઉગેલું અનાજ, બકરો, મરઘી અને દેશી દારૂ સહિત જે માન્યતા માની હોય તે લઇને પરંપરાગત પુજન કરે છે અને પ્રસાદરૂપે મળેલ ચીજને બારેમાસ અનાજના કોઠારમાં સાચવી રાખે છે.

અડગ શ્રધ્ધા ધરાવતા આદિવાસીઓ માને છે કે ચોમાસા પછી તરત જ આવતા આ મેળામા ધન ધાન્ય કે જે માનતા માની હોય તે ચીજ ચઢાવવાથી બારેમાસ સુખ સમૃધ્ધી મળે છે. તેને કારણે જ દુરદુરથી આદિવાસીઓ દર વર્ષે અહીં આવી માનતા પુરી કરે છે. નીત નવા વસ્ત્રાોનો શૃંગાર કરી મેળો મહાલે છે. અનાદિકાળના પૌરાણીક જંગલમાં રૂષીમુની સમા ઉભેલા વૃક્ષો વચ્ચે નીરવ શાંત વાતાવરણમાં પાંડોરી બિરાજમાન છે. આ પાંડોરી માતાને આદિવાસીઓમાં મેરાલી, માતા યાહામોગી અથવા યાહા મોગરાઇ માતાના નામથી સંબોધે છે. વર્ષો અગાઉ આ મંદિર સામાન્ય વાંસના ખપેડામાંથી બનાવેલા મકાન જેવું હતું. આજે અહીં લાખોના ખર્ચે નેપાળના પશુપતિનાથની પ્રતિકૃતિ સમાન મંદિર બનાવવામાં આવ્યું છે. દેવમોગરા પાંડોરી માતા આદિવાસી સમાજના કુળદેવી હોય જેમની આસ્થા અને શ્રદ્ધા અનેરી છે. આ દરપર મન્નત માંગેલ ભક્તની કોઈ મન્નત ખાલી નથી.

પાંડવોના સમયથી આ મંદિર અહીં પ્રચલિત છે ત્યારે એવી લોકવાયકા પણ છે કે પાંડવોએ અહીં નિવાસ કરી આ માતાનું પુજન શિવરાત્રએ કર્યુ હતું અને તેથી જ આ મા પાંડોરી કહેવાય છે અને ત્યારથી જ દર વર્ષે મહાશીવરાત્રીથી 5 દિવસનો અહીં મેળો ભરાય છે. ત્યારે અહીં આવતા ભક્તો પણ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. જેને લઈ તંત્ર દ્વારા પોલીસ સુરક્ષાથી લઈ અહીં આવતા ભક્તો માટે તમામ વ્યવસ્થા કરવામાં આવે છે.