February 24, 2025

દિલ્હી CM ઓફિસમાંથી બાબા સાહેબ-ભગતસિંહની તસવીર હટાવાઈ, AAPએ નારાજગી વ્યક્ત કરી

દિલ્હી CM ઓફિસ: દિલ્હીમાં વિપક્ષ આમ આદમી પાર્ટી (AAP)એ દાવો કર્યો છે કે વિધાનસભામાં મુખ્યમંત્રી રેખા ગુપ્તાની ઓફિસમાંથી બંધારણના ઘડવૈયા ભીમરાવ આંબેડકર અને શહીદ ભગતસિંહની તસવીરો દૂર કરવામાં આવી છે. પૂર્વ CM આતિશીએ કહ્યું કે, આનાથી ભાજપની દલિત વિરોધી રાજનીતિનો પર્દાફાશ થાય છે.

પૂર્વ CM આતિશીએ વિરોધ નોંધાવ્યો
વિપક્ષના નેતા આતિશીએ કહ્યું, “અરવિંદ કેજરીવાલના દિલ્હી સરકારમાં મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન દરેક સરકારી કાર્યાલયમાં આંબેડકર અને શહીદ ભગતસિંહના ફોટા લગાવવામાં આવ્યા હતા, પરંતુ આજે જ્યારે અમે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને વિધાનસભા સ્થિત તેમના કાર્યાલયમાં મળવા ગયા, ત્યારે અમે જોયું કે બંને ફોટા મુખ્યમંત્રી કાર્યાલયમાંથી દૂર કરવામાં આવ્યા છે, AAP વિધાનસભામાં આનો સખત વિરોધ કરે છે. AAPએ દાવો કર્યો હતો કે, મુખ્યમંત્રી કાર્યાલયમાં હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને મહાત્મા ગાંધીની તસવીર છે.

અરવિંદ કેજરીવાલની પ્રતિક્રિયા
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પણ તસવીર હટાવવા પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું, “દિલ્હીમાં નવી ભાજપ સરકારે બાબા સાહેબની તસવીર હટાવીને તેની જગ્યાએ વડાપ્રધાન મોદીની તસવીર લગાવી દીધી છે. આ બરાબર નથી.

તેમણે કહ્યું, “આનાથી બાબાસાહેબના કરોડો અનુયાયીઓને દુઃખ થયું છે. મારી ભાજપને એક વિનંતી છે. તમે પ્રધાનમંત્રીની તસવીર લગાવી શકો છો પણ બાબાસાહેબની તસવીર ના હટાવો. તેમની તસવીર ત્યાં જ રહેવા દો.

દિલ્હી વિધાનસભામાં આ તસવીરોને લઈને ભારે હોબાળો થયો હતો. નવા સ્પીકર વિજેન્દ્ર ગુપ્તાને અભિનંદન આપતાં આતિશીએ કહ્યું કે, તસવીરો હટાવવી એ અપમાનજનક હતું. આ અંગે AAP ધારાસભ્યો પણ હોબાળો કરતા જોવા મળ્યા. આ અંગે સ્પીકર વિજેન્દ્ર ગુપ્તાએ કહ્યું કે, આ એક સૌજન્ય ભાષણ હતું. રાજકીય પ્લેટફોર્મ બનાવવું જોઈતું ન હતું. હું આતિશીના વર્તનની સખત નિંદા કરું છું.