June 28, 2024

Dahod: નદીમાં ન્હાવા પડેલા 6 બાળકોમાંથી બે ડૂબ્યા, એકનો બચાવ એકનું મોત

નિલુ ડોડિયાર, દાહોદ: છેલ્લા કેટલાક દિવસથી નદીમાં ન્હાવા પડ્યા બાદ ડૂબી જવાની અને મોત થવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે હાલ દાહોદના નસીરપુર નદીમાં બાળકો ડુબ્યાની ઘટના સામે આવી છે. નદીમાં ન્હાવા પડેલા 6માંથી 2 બાળક ડૂબ્યાની માહિતી મળી છે. જેમાથી 1 બાળકનું મોત નીપજ્યું છે તો 1 બાળકનો બચાવ કરવામાં આવ્યો છે. તરતા ન આવડતું હોવા છતાં ઉંડા પાણીમાં પડ્યા હોવાનું પણ સામે આવ્યું છે.

મળતી માહિતી અનુસાર દાહોદના મોટા ઘાંચીવાડા વિસ્તારના 6 બાળકો નદીમાં ન્હાવા પડ્યા હતા. પરંતુ તેમાથી 2 બાળકો ડૂબી ગયા હતા. જેમાથી એકનું મોત નીપજ્યું હતું તો એકનો બચાવ કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે આ બાળકોને તરતા ન આવડતુ હોવા છતાં ઉંડા પાણીમાં પડ્યા હતા. જેમા મોહસીન ભૂગા નામના બાળકનું મોત નીપજ્યું છે. જોકે, આ અંગે જાણ થતા સ્થાનિકોએ એક બાળકને બચાવ્યો હતો. તો અન્ય એક બાળકનો નદીમાંથી મૃતદેહને બહાર કાઢ્યો હતો.

આ પણ વાંચો: અંબાજીને લઇને તંત્ર એક્શનમાં, મંદિરમાં ચાલતું 3D મૂવી ગુફાનો પ્રવેશ દ્વાર સીલ

ઉલ્લેખનીય છે કે, થોડાક દિવસ અગાઉ સુરતમાં રહેતા 8 પ્રવાસીઓ પોઇચા નદીમાં ડૂબ્યા હતા. નર્મદા નદીમાં ન્હાવા પડ્યા હતા ત્યારે તેમની સાથે દુર્ઘટના બની હતી. ત્યારે 3 બાળકો સહિત કુલ 8 લોકો નર્મદા નદીમાં ડૂબ્યા હતા. સ્થાનિકોએ એક વ્યક્તિને ડૂબતા બચાવ્યો હતો. જ્યારે આ ઘટનાની જાણ થતા જ રાજપીપળા ટાઉન પોલીસ સહિત ફાયર વિભાગે તમામ ડૂબેલા લોકોની શોધખોળ હાથ ધરી હતી.