ઝઘડિયા નજીક ગુમાનદેવ મંદિરે હનુમાન જયંતીના અવસરે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું

જ્ય વ્યાસ, ભરૂચ: જિલ્લાના ઝઘડિયા નજીક આવેલ ગુમાનદેવ મંદિર ખાતે આજે શનિવાર અને હનુમાન જયંતીના અવસરે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું. ભક્તોએ હનુમાનજી સમક્ષ શીશ ઝુકાવી કષ્ટ દૂર કરવાની પ્રાર્થના કરી હતી.
ભરૂચ ઝઘડિયા નજીક આવેલ ગુમાનદેવ મંદિર ભકતોમાં અનેરી આસ્થા ધરાવે છે. કહેવાય છે કે અહીં બિરાજમાન હનુમાનજી ભક્તોનું ગુમાન એટલે કે અભિમાન દૂર કરે છે અને તેથી તે ગુમાનદેવ તરીકે ઓળખાયા છે. આ મંદિર પાછળ દંત કથા સંકળાયેલ છે તે મુજબ આ મુર્તિ સ્વયંભૂ છે. ગુલાબ દાસજી મહારાજ કે જેઓ અયોધ્યાના હનુમાન ગઢીના સંત હતા તેઓ અહીં આવ્યા હતા. તેઓને સ્વપ્નમાં આ મૂર્તિ અંગે આભાસ થયો હતો અને આ મુર્તિ સાથે એક શિયાળ ચોંટેલું હોય તેને ગોવાળિયાઓ મારતા હોવાનો આભાસ થયો હતો. સંતે શિયાળને છોડાવી સ્થાનિકો સાથે વાત કરતાં જાણવા મળ્યું હતું કે આ શિયાળ રોજ અહીં આવી મૂર્તિને ગમે ત્યાં અડતું હતું. જેથી આજે તેના કર્મોની સજા મળી.
ઉપરાંત રોજ આ મૂર્તિ ઉપર કપિલા નામની ગૌમાતા દૂધનો અભિષેક કરવા આવતું હતું. સંતે આ જાણી મૂર્તિની વિધિવત સ્થાપના કરી હતી. ઇ.સ. 1615માં ચૈત્ર સુદ પૂર્ણિમા એટલે કે હનુમાન જયંતિના દિવસે આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. આજરોજ હનુમાન જયંતી અને શનિવારના સંયોગ વચ્ચે ગુમાનદેવ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને પવનપુત્ર હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.