‘કર્ણાટકમાં કોંગ્રેસે મુસ્લિમોને રાતોરાત OBC બનાવી દીધા’, PM મોદીનો આરોપ

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીના ચાર તબક્કાનું મતદાન સમાપ્ત થઈ ગયું છે. ભાજપ 400 બેઠકોનો લક્ષ્યાંક હાંસલ કરવા માટે દેશભરમાં પ્રચાર કરી રહી છે. આ દરમિયાન ઉત્તર પ્રદેશના હમીરપુરમાં એક રેલીને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે અનામત મુદ્દે વિરોધ પક્ષ પર અનેક આક્ષેપો પણ કર્યા હતા. પીએમ મોદીએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસ અનામત ખતમ કરી રહી છે અને સમાજવાદી પાર્ટી તેનું સમર્થન કરી રહી છે.

પીએમ મોદીએ રેલીને સંબોધતા કહ્યું કે, બાબા સાહેબ આંબેડકરે ધર્મના આધારે અનામતનો વિરોધ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો, ‘કોંગ્રેસે કર્ણાટકમાં તમામ મુસ્લિમોને રાતોરાત OBC બનાવી દીધા. એક જ સ્ટેમ્પથી બધાના કાગળો કાઢી દેવામાં આવ્યા. આની અસર એ થઈ કે તેઓ (મુસ્લિમો) પછાત વર્ગના આરક્ષણમાં આવ્યા અને બધું લૂંટી લીધું. કોંગ્રેસ આ મોડલને સમગ્ર દેશમાં લાગુ કરવા માંગે છે.

આ પણ વાંચો:  CM આવાસના વીડિયો મામલે સ્વાતિની પ્રતિક્રિયા – દર વખતની જેમ રાજકીય હિટમેને…

પીએમ મોદીએ આરોપ લગાવ્યો કે, ‘સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ એસસી, એસટી, ઓબીસીની અનામત છીનવી લેવા માંગે છે. સપા રાત-દિવસ પછાતની રાજનીતિ કરે છે… આ લોકો કર્ણાટક પર કશું બોલતા નથી. કોંગ્રેસ મુસ્લિમોને SC, ST અને OBCનું અનામત આપી રહી છે. ‘સપા અને કોંગ્રેસને મત આપો તમારી સંપત્તિ જેહાદીઓમાં વહેંચી દેશે.’

આ પણ વાંચો:  કમોસમી વરસાદે ખેડૂતોને રોવડાવ્યાં, પપૈયાનો પાક બરબાદ થયો

રેલીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, ‘હું તમને સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ તરફથી સાવધાન કરવા આવ્યો છું. તેઓ સ્વીકારતા નથી કે દલિત અને પછાત લોકોને સન્માન મળે. અગાઉની સરકારો કહેતી હતી કે બુંદેલખંડ કઠોર છે. ત્યાં કોણ જાય છે? હું કહું છું કે બુંદેલખંડ બહાદુરી અને વિકાસની ભૂમિ છે. અહીં કોણ નહીં આવે? બુદેલખંડ ફરી એકવાર મોદી સરકાર કહી રહ્યું છે.