July 7, 2024

ગુજરાતના CM સરહદ પર પોઇન્ટ 0 પર જઈને નાગરિકો સાથે યોગ કરશે

મલ્હાર વોરા, ગાંધીનગર: આવતી કાલે વિશ્વ યોગ દિવસની ઉજવણી આખી દુનિયામાં કરાશે ત્યારે ગુજાતમાં રાજ્યકક્ષાની ઉજવણી બનાસકાંઠા જિલ્લામાં કરાશે. બનાસકાંઠાના નડાબેટમાં CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આવતીકાલે વિશ્વ યોગ દિવસની ઉજવમી કરાશે. ત્યારે વિશ્વ યોગ દિવસને લઈ રમતગમત મંત્રી હર્ષ સંધવીએ પત્રકાર પરિષદ યોજીને આ અંગે જાણકારી આપી હતી.

વિશ્વ યોગ દિવસને લઈ રમતગમત મંત્રી હર્ષ સંધવીએ જણાવ્યું હતું કે, 21 જૂન દુનિયાભરમાં યોગ દિવસ તરીકે ઉજવાય છે. વિદેશ સહિત ભારતમાં આવતીકાલે તમામ લોકો યોગ કરતા નજરે પડશે, જે આપણા માટે ગૌરવની વાત છે કે આપણી સંસ્કૃતિ દુનિયા સુધી પહોંચશે. આવામાં ગુજરાતના મુખ્યમંત્રી બે દેશની સરહદો પર પોઇન્ટ 0 પર જઈને નાગરિકો સાથે યોગ કરશે. મુખ્યમંત્રી આગેવાનીમાં રાજયકક્ષાના કાર્યકમનું નડાબેટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં હજારો લોકો જોડાશે. યોગ દિવસની ઉજવણી બાદ મુખ્યમંત્રી બોર્ડર પર સુરક્ષા રાખનારા જવાનો સાથે મુલાકાત કરીને ભોજન કરશે.

આ પણ વાંચો: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 35 તાલુકામાં વરસાદ

વધુમાં હર્ષ સંઘવીએ કહ્યું કે, 8 મનપા, 20 નગરપાલિકા, 231 તાલુકામાં 312 સ્થળો પર હજારોની સંખ્યમાં આવતીકાલે કાર્યક્રમો આયોજિત છે. અત્યાર સુધીમાં કુલ સવા કરોડ લોકોનું રજીસ્ટ્રેશન થયું છે. હજુ પણ કેટલીક સંસ્થાઓ અને સોસાયટી પણ યોગમાં જોડાશે. છેલ્લા 5 માસથી બોર્ડર પર યોગનું આયોજન ચાલી રહ્યું છે. યોગને માત્ર યોગ દિવસ પૂરતું નહિં દરરોજ યોગ કરે તે માટે રાત દિવસ કામ ચાલી રહ્યું છે. લોકોને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. એક યોગ સેન્ટર બને તે માટેની કામગીરી ચાલી રહી છે જે તમામ શહેરો અને જિલ્લામાં શરૂ કરવામાં આવશે.સામાન્ય નાગરીકો યોગની સાધના કરે અને યોગ કરી શકે રાજ્યના રમતગમત વિભાગે આયોજન કર્યું છે.

તમને જણાવી દઇએ કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ માટે અમદાવાદની મુલાકાતે છે ત્યારે તેઓ પણ અમદાવાદ ખાતે યોગ કાર્યકમમાં હાજરી આપશે. તો કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલ સુરત ખાતે હાજર રહેશે. આમ તમામ મંત્રીઓ અલગ-અલગ કાર્યકમમાં હાજર રહેશે. તો કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને નિમુબેન બાંભણીયા દિલ્હી ખાતે યોગ કરશે.