September 20, 2024

દિલ્હી કોર્ટમાં સીએમ કેજરીવાલને ન મળી રાહત, જ્યુડિશિયલ કસ્ટડી 8 ઓગસ્ટ સુધી લંબાવાઇ

Delhi Liquor Policy Scam: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુસીબતો ઓછી નથી થઈ રહી. રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી લિકર પોલિસી સ્કેમ મામલે CBI કેસમાં મુખ્યમંત્રી કેજરીવાલની જ્યુડિશિયલ કસ્ટડી વધારી દીધી છે. વધુ સુનાવણી 8 ઓગસ્ટના રોજ થશે. તિહાર જેલથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કેજરીવાલની સુનાવણી થઈ હતી. સીબીઆઈએ તિહાર જેલમાંથી જ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી.

મનીષ સિસોદિયા અને કે કવિતાની કસ્ટડી પણ વધારાઈ
સીએમ કેજરીવાલ ઉપરાંત પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને બીઆરએસ નેતા કે કવિતા પણ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં હાજર થયા છે. રાઉઝ એવન્યુ કોર્ટે મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 31 જુલાઈ સુધી અને કે. કવિતાની ન્યાયિક કસ્ટડી 31 જુલાઈ સુધી લંબાવી છે. અગાઉ 12 જુલાઈના રોજ, કોર્ટે સીબીઆઈ દ્વારા તપાસ કરી રહેલી એક્સાઈઝ પોલિસી સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં શુક્રવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 25 જુલાઈ સુધી લંબાવી હતી.

કેજરીવાલને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સ્પેશિયલ જજ કાવેરી બાવેજા સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા. તેમની જ્યુડિશિયલ કસ્ટડી પૂર્ણ થયા બાદ તેઓ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) કેસોના સંબંધમાં હાજર થયા હતા.

બીજી બાજુ, દિલ્હી હાઈકોર્ટે 17 જુલાઈના રોજ સીએમ અરવિંદ કેજરીવાલ દ્વારા દાખલ કરાયેલી અરજી પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો જેમાં એક્સાઈઝ પોલિસી બાબત સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં CBI દ્વારા તેમની ધરપકડને પડકારવામાં આવી હતી. કેજરીવાલે પોતાની ધરપકડને ગેરકાયદે ગણાવી છે. CBIએ કહ્યું છે કે કાયદા હેઠળ સંપૂર્ણ પુરાવા ઉપલબ્ધ થયા બાદ જ ધરપકડ કરવામાં આવી હતી. જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાએ કેજરીવાલની વચગાળાની જામીન અરજી પર પણ આદેશ અનામત રાખ્યો છે.