July 2, 2024

સરકારી કાર્યાલયમાં તમાકુ ખાતા અધિકારીઓને CM Bhupendra Patel તતડાવ્યા

ગાંધીનગર: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર ખાતે મનપા અને નગરપાલિકાને ચેક વિતરણ કર્યા હતા. મનપા અને નગરપાલિકાના વિકાસ માટે 2112 કરોડ રૂપિયા ચેક વિતરણ કર્યા હતા. આ દરમિયાન મુખ્યમંત્રીએ અધિકારીઓને ઓફિસમાં માવા કે મસાલા ન ખાવા માટે તતડાવ્યા હતા. ત્યાં જ પર્યાવરણ પ્રત્યે લોકોને સજાગ રહેવા સૂચના આપી હતી. CM ભૂપેન્દ્ર પટેલે પર્યાવરણ પ્રત્યે લોકોને સમજણ આપી હતી અને જણાવ્યું હતું કે આપણે ગો ગ્રીન તરફ આગળ વધવાનું છે અને વૃક્ષો વાવવા તે આપણી જ જવાબદારી છે.

આ દરમિયાન મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, મને મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે કે, લોકો પાન ખાઇ પિચકારી મારે છે તેવી ફરિયાદો પણ આવે છે.પરંતુ આપણે સ્થાનિક લોકોના પ્રશ્નોનું ધ્યાન રાખવું જોઇએ. સરકારી કચેરીઓમાં પાન ખાઇને પિચકારી મારવી તે ખોટું છે. 11 થી 5માં તમાકુ ખાતા અધિકારીઓ ઓફિસ સમયમાં આવી ભૂલો ન કરવી જોઇએ. મીડિયામાંથી આવતી વસ્તુઓ પર ધ્યાન આપવું જોઇએ. આ એક ફાયદાની વસ્તુ છે. આથી દરેક લોકોને ફાયદો થશે. આમ CMએ એક જ કાર્યક્રમમાં અધિકારીઓને અલગ-અલગ સૂચનાઓ આપી દીધી હતી.

આજે ગાંધીનગર ખાતે CM ભૂપેન્દ્ર પટેલે 8 મનપા સહિત 26 નગરપાલિકાના વિકાસના કામો માટે 2112 કરોડ રૂપિયાની રકમ આપી હતી. જેમાં અમદાવાદ મનપાને કુલ 673 કરોડ અને સુરત મનપા 516 કરોડ ફાળવ્યા હતા. ત્યાં જ બરોડા મનપા 188 કરોડ, રાજકોટ મનપા 148 કરોડ, ભાવનગર મનપા 69 કરોડ ફાળવ્યા હતા. જામનગર 66 કરોડ, જુનાગઢ 34 કરોડ ગાંધીનગર મનપા 35 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. નડિયાદ નગરપાલિકામાં 4 કરોડ, લીમડી નગરપાલિકામાં 2.25 કરોડ, બારેજા નગરપાલિકામાં 1.50 કરોડ , પાટણ નગરપાલિકામાં 4 કરોડ, ઊંઝા નગરપાલિકામાં 3 કરોડ, વડાલી નગરપાલિકામાં 1.50 કરોડ ફાળવવામાં આવ્યા હતા.

વાપી નગરપાલિકામાં 4 કરોડ,રાજપીપળા નગરપાલિકામાં 2.25 કરોડ,તરસાડી નગરપાલિકામાં 2.25 કરોડ,ડભોઇ નગરપાલિકામાં ત્રણ કરોડ,ઉમરેઠ નગરપાલિકામાં 2.25 કરોડ,શહેરા નગરપાલિકામાં 1.50 કરોડ,માંડવી-કચ્છ નગરપાલિકામાં ત્રણ કરોડ,સિક્કા નગરપાલિકામાં 2.25 કરોડ, રાવલ નગરપાલિકામાં 1.50 કરોડ, પાલીતાણા નગરપાલિકામાં ત્રણ કરોડ, સુત્રાપાડા નગરપાલિકામાં 2.25 કરોડ, દામણ નગરપાલિકામાં 1.50 કરોડ રૂપિયાની વિકાસના કામો માટે રકમ મુખ્યમંત્રી દ્વારા ફાળવવામાં આવી છે.