September 10, 2024

હવે ગણતરીના કલાકોમાં ક્લિયર થઈ જશે ચેક, RBI ગવર્નરની જાહેરાત

RBI: આજે મળેલી રિઝર્વ બેંકની એમપીસી બેઠકમાં છેલ્લી જાહેરાત કરતાં RBI ગવર્નરે સામાન્ય લોકોની સાથે સાથે વેપારી વર્ગને એક મોટી ભેટ આપી છે. RBI એ મોટો નિર્ણય લીધો છે કે ચેક ક્લિયર થવામાં હવે ગણતરીના કલાકો જ લાગશે. હાલ ચેક ક્લિયરીંગ કરવામાં 2 કામના દિવસ લાગી જાય છે. સામાન્ય લોકોથી લઈને વેપારી વર્ગ, બેંકો, સંસ્થાઓ, શિક્ષણ અને નાણાકીય જગત સાથે સંકળાયેલા દરેક માટે આ સારા સમાચાર છે.

ચેક ક્લિયરીંગ સાયકલનો સમય ઘટાડી દેવાયો
ચેક ક્લિયર થવામાં હાલ 2 દિવસનો સમય લાગતો હતો. હવે તેમાં 2 દિવસનો સમય નહિ લાગે પરંતુ ગણતરીના કલાકોમાં જ ચેક ક્લિયર થઈ જશે. ચેક ડિપોઝિટ કર્યાના દિવસે જ ચેક ક્લિયર થઈ જશે અને તેમાં અમુક જ કલાકો લાગશે. જેને લીધે ગ્રાહકોનું કામ ખૂબ જ સરળ થઈ જશે. RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે આનો ફાયદો ચેક આપનાર અને ચેક દ્વારા પૈસા મેળવનાર બંને લોકોને એટલે કે ચેક પેયર અને ચેક બોરોઅર બંનેને મળશે અને આ આખી પ્રક્રિયા ઝડપી થવાને કારણે બેન્કિંગ સેવાઓ પર પણ સકારાત્મક અસર જોવા મળશે.

RBI ગવર્નરે આપી ભેટ
RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે ચેક ટ્રાન્ઝેક્શન સિસ્ટમ એટલેકે (CTS) હેઠળ જે ચેક ક્લિયરીંગ સાયકલમાં 2 વર્કિંગ ડેઝનો સમય લાગતો હતો તેને ઘટાડીને અમુક કલાકોનો કરી દેવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

RBIએ નથી ઘટાડ્યો રેપો રેટ, યથાવત રહેશે EMI
RBIની મોનેટરી પોલિસી કમિટીએ ફરી એકવાર નીતિગત વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી અને રેપો રેટને 6.5 ટકા પર સ્થિર રાખવાનો નિર્ણય લીધો છે. તેનો અર્થ એ છે કે તમારી લોન EMI માટે વ્યાજ દર ઘટાડા માટે તમારે હજુ પણ રાહ જોવી પડશે.