‘મુર્શિદાબાદમાં કેન્દ્રીય દળો તૈનાત કરવામાં આવે’, કોલકાતા હાઈકોર્ટનો આદેશ

Murshidabad Violent Protests: પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં નવા વક્ફ કાયદાના વિરોધમાં હિંસક દેખાવ થતાં 3 લોકોના મોત થયા છે. પ્રદર્શનકારીઓએ પોલીસ વાહનો અને જાહેર સંપત્તિને આગ ચાંપી દીધી હતી અને રેલ્વે અને રસ્તાઓ બ્લોક કરી દીધા હતા. આ પછી, ભાજપના નેતા શુભેન્દુ અધિકારીએ શનિવારે કોલકાતા હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી હતી જેમાં હિંસાગ્રસ્ત વિસ્તારોમાં કેન્દ્રીય દળો તૈનાત કરવાની માંગ કરવામાં આવી હતી. આ માંગણીને કોલકાતા હાઈકોર્ટે સ્વીકારી લીધી છે.
#WATCH | Kolkata, West Bengal: Calcutta High Court orders deployment of central forces in violence-hit Murshidabad
Advocate Anish Mukherjee, representing West Bengal Leader of Opposition Suvendu Adhikari, said, "For several days now, we have been witnessing widespread violence… pic.twitter.com/gqK2846J1m
— ANI (@ANI) April 12, 2025
વક્ફ કાયદા વિરુદ્ધ હિંસક વિરોધ પ્રદર્શનો બાદ કોલકાતા હાઈકોર્ટની એક ખાસ બેન્ચે હિંસાગ્રસ્ત વિસ્તારોમાં કેન્દ્રીય દળો તૈનાત કરવાનો આદેશ આપ્યો. કોલકાતા હાઈકોર્ટે કહ્યું કે જ્યારે આવા આરોપો સામે આવે છે, ત્યારે કોર્ટ આંખો બંધ ન કરી શકે. હાઈકોર્ટે કહ્યું કે જો જરૂર પડે તો કાયદો અને વ્યવસ્થાને નિયંત્રિત કરવા માટે કેન્દ્રીય દળોને અન્ય જગ્યાએ તૈનાત કરી શકાય છે.
મુર્શિદાબાદ હિંસામાં ત્રણ લોકોના મોત
ભાજપના ધારાસભ્ય શુભેન્દુ અધિકારીએ આરોપ લગાવ્યો કે BSF પરિસ્થિતિને કાબુમાં લેવા માટે ઘટનાસ્થળે પહોંચી ગયું હતું, પરંતુ DM એ તેમને હિંસા રોકવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. માહિતી આપતાં IPSના એક અધિકારીએ જણાવ્યું હતું કે હિંસા પ્રભાવિત શમશેરગંજ વિસ્તારના જાફરાબાદમાં એક ઘરમાંથી પિતા અને પુત્રના મૃતદેહ મળી આવ્યા હતા, જેમના શરીર પર છરીના નિશાન હતા. તેમણે કહ્યું કે બંને તેમના ઘરની અંદર જમીન પર બેભાન અવસ્થામાં પડેલા મળી આવ્યા હતા અને તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં બંનેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, બીજી ઘટનામાં, શમશેરગંજ બ્લોકના ધુલિયાનમાં બીજા એક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
BJPએ મમતા બેનર્જી પર લગાવ્યો ગંભીર આરોપ
કેન્દ્રીયમંત્રી અને ભાજપના પશ્ચિમ બંગાળ એકમના પ્રમુખ સુકાંત મજુમદારે શનિવારે મુખ્યમંત્રી મમતા બેનર્જીને મુર્શિદાબાદ જિલ્લાના અશાંત વિસ્તારોમાં કાયદાનું શાસન કડક રીતે લાગુ કરવા આહ્વાન કર્યું હતું. તેમણે આરોપ લગાવ્યો કે મમતા શાસન શમશેરગંજ, સુતી અને જાંગીપુરમાં “હિન્દુઓ પરના હુમલાઓ” પ્રત્યે આંખ આડા કાન કરી રહ્યું છે. મજુમદારે કહ્યું કે એકવાર રાજ્યમાં ભાજપ સત્તામાં આવશે, તો લઘુમતીઓના એક વર્ગ દ્વારા કરવામાં આવતી આવી તોડફોડ અને ગુંડાગીરીને પાંચ મિનિટમાં બંધ કરી દેવામાં આવશે અને કચડી નાખવામાં આવશે.