કેન્દ્રએ BJPના 32 નેતાઓની હટાવી સુરક્ષા, જાણો કેમ અમિત શાહે લીધો આ નિર્ણય

BJP Leaders Security: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બુધવારે (26 ફેબ્રુઆરી, 2025) પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના 32 નેતાઓની સુરક્ષા પાછી ખેંચી લીધી. ગૃહ મંત્રાલયની સમીક્ષા સમિતિએ એક યાદી બહાર પાડી, જેમાં ગયા વર્ષે લોકસભા ચૂંટણીમાં હારેલા ભાજપના કેટલાક નેતાઓના નામ સામેલ છે.

ન્યૂઝ અહેવાલ મુજબ પૂર્વ કેન્દ્રીય મંત્રી જોન બાર્લા, પૂર્વ સાંસદ દશરથ તિર્કી, બીજેપી નેતા શંકુદેવ પાંડા અને પૂર્વ આઈપીએસ અધિકારી દેબાશીષ ધર એ 32 લોકોમાં સામેલ છે જેમની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ અભિષેક બેનર્જી સામે હારેલા ડાયમંડ હાર્બર લોકસભા મતવિસ્તારના ઉમેદવાર અભિજિત દાસ, ડાયમંડ હાર્બરના ભૂતપૂર્વ ધારાસભ્ય દીપક હલદર, ભાજપના બોલપુર લોકસભા ચૂંટણીના ઉમેદવાર પિયા સાહા અને જંગીપુર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ધનંજય ઘોષ જેવા નામો પણ આ યાદીમાં સામેલ છે.

અભિજીત દાસે શું કહ્યું?
તેમણે કહ્યું, “હું હરિદ્વારમાં છું, મને આ વિશે કંઈ ખબર નથી. મને હજુ સુધી કોઈ મેસેજ મળ્યો નથી. આ નિયમિત બાબત છે, દર ત્રણ મહિને કેન્દ્રીય ગૃહ મંત્રાલય આ સંબંધમાં એક યાદી બહાર પાડે છે. તેમનો એક પ્રોટોકોલ છે. ફરીથી તેઓ સુરક્ષા પૂરી પાડે છે. છેલ્લા 6.5 વર્ષમાં મેં આ ઘણી વખત જોયું છે. થોડા દિવસો પહેલા 20 લોકોના નામવાળી આવી યાદી આવી હતી, ફરી ઘણા લોકોને સુરક્ષા આપવામાં આવી હતી.

ભાજપના સાંસદે શું કહ્યું?
આ ઘટનાક્રમ પર પ્રતિક્રિયા આપતા, ભાજપના સાંસદ અને રાજ્ય પ્રવક્તા સમિક ભટ્ટાચાર્યએ એક અખબાર સાથે વાત કરતા કહ્યું, “આ નિયમિત છે. કોને સુરક્ષાની જરૂર છે અને ક્યારે તે કેન્દ્ર નક્કી કરે છે અને તે મુજબ સુરક્ષા પૂરી પાડવામાં આવે છે. તે સમયે ગૃહ મંત્રાલયને લાગ્યું હશે કે નેતાઓને સુરક્ષાની જરૂર છે. આ બાબતમાં રાજકારણ કરવાનું કંઈ નથી.”