October 29, 2024

રોહતકથી દિલ્હી જતી ટ્રેનમાં બ્લાસ્ટ, આગને કારણે 4 લોકો દાઝ્યા

Rohtak Delhi Train Blast: હરિયાણાના રોહતકથી દિલ્હી જતી ટ્રેનમાં બ્લાસ્ટ થતાં આગ ફાટી નીકળી હતી. માહિતી અનુસાર, સાંપલા પાસે ટ્રેનની એક બોગીમાં વિસ્ફોટ થયો હતો. જેના કારણે અચાનક આગ ફાટી નીકળી હતી. દાઝી જવાથી ચાર મુસાફરોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. બીજી બાજુ, સ્થાનિક અને રેલવે પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી. આ સાથે એફએસએલની ટીમે ઘટનાસ્થળેથી પુરાવા પણ એકત્ર કર્યા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે કોઈ સલ્ફર અને પોટાશ લઈ જતું હતું, જેના કારણે વિસ્ફોટ થયો હતો. રેલવે પોલીસે બોમ્બ ડિસ્પોઝલ ટીમને પણ તપાસ માટે બોલાવી છે.

રોહતક રેલવે સ્ટેશનથી સાંજે સાડા ચાર વાગ્યે ટ્રેન ઉપડી હતી. સાંપલા સ્ટેશનથી પસાર થતાની સાથે જ તેની બોગીમાં વિસ્ફોટ થયો હતો. અચાનક ચાર મુસાફરો દાઝી ગયા, ત્યારબદા તરત જ ટ્રેન રોકી દેવામાં આવી અને સ્ટેશન માસ્ટરને સમગ્ર ઘટનાની જાણ કરી. વિસ્ફોટની માહિતી મળતા જ સાંપલા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન રોહતકથી આરપીએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આ ઘટના અંગે તમામ ટીમોએ મુસાફરોની પૂછપરછ પણ કરી હતી.

તપાસ બાદ ટ્રેન રવાના થઈ ગઈ
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે એક મુસાફર પોતાની સાથે સલ્ફર અને પોટાશ લઈને જઈ રહ્યો હતો. જેના કારણે વિસ્ફોટ થયો હતો. જેના કારણે આગ લાગી હતી. વિસ્ફોટ બાદ ટ્રેન લાંબા સમય સુધી પાટા પર ઉભી રહી હતી. તપાસ બાદ પેસેન્જર ટ્રેનને દિલ્હી મોકલવામાં આવી હતી. પોલીસનું કહેવું છે કે મામલાની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે. જે ડબ્બામાં આગ લાગી તેમાં હાજર મુસાફરોએ જણાવ્યું કે તેઓ પોતપોતાની સીટ પર બેઠા હતા. સીટોની ઉપરના લગેજ એરિયામાં અચાનક વિસ્ફોટ થયો હતો. જેના કારણે આગ ફાટી નીકળી હતી.