તળાજાની ફુલસર પ્રાથમિક શાળાનો અનોખો પ્રયોગ, 21 દિવસ સુધી વિદ્યાર્થીઓનાં ટીવી-મોબાઇલનાં ઉપવાસ

ભાવનગરઃ જિલ્લાના તળાજા તાલુકામાં આવેલી ફુલસર પ્રાથમિક શાળાના શિક્ષકોએ બાળકોને એક અનોખો ઉપવાસ કરાવ્યો હતો. જેમાં 21 દિવસ સુધી બાળકોએ ટીવી અને મોબાઈલ નહીં વાપરવાના વ્રત લીધા હતા.

આજના યુગમાં વાલીઓ માટે સૌથી મોટી સમસ્યા ટીવી અને મોબાઈલનો વધુ પડતા પ્રમાણમાં ઉપયોગ છે. જેને લઈને વાલીઓ ખૂબ ચિંતિત હોય છે. પરંતુ તળાજા તાલુકાના ફુલસર પ્રાથમિક શાળાના આચાર્ય લવજીભાઈ ડોડીયાને એક વિચાર આવ્યો કે, 21 દિવસ માટે શાળાના વિદ્યાર્થીઓને સ્વૈચ્છિક ટીવી અને મોબાઈલ નહીં જોવાના વ્રત લેવડાવે તો? લવજીભાઈ દ્વારા આ પ્રસ્તાવ બીજા દિવસે પ્રાર્થનાસભામાં મૂકવામાં આવ્યો હતો અને પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તેમાં હોંશે હોંશે જોડાયા હતા.

બાળકો દ્વારા જ્યારે ઘરે જઈને વાલીઓને કહેવામાં આવ્યું, ત્યારે વાલીઓને પણ એમ થયું કે, કદાચ બે-ચાર દિવસ સુધી બાળકો વ્રત રાખી શકશે અને ત્યારબાદ વ્રત તૂટી જશે પરંતુ એવું ન થયું અને 21 દિવસ સુધી બાળકો દ્વારા ટીવી અને મોબાઈલથી દૂર રહ્યા હતા. જે સમય મોબાઇલ અને ટીવી જોવામાં બગડતો હતો, હવે વિદ્યાર્થીઓ દ્વારા તે સમયનો સદુપયોગ થવા લાગ્યો હતો. જેમાં શિક્ષકો દ્વારા આપવામાં આવેલું લેશન સમયસર થઈ જતું હતું. પરીક્ષામાં વધુ માર્ક્સ આવે તે માટે તૈયારીઓ કરવાનો સમય વધુ મળતો હતો. શાળાના શિક્ષકો દ્વારા જૂની રમતો રમાડીને બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ વધુ થયા તેવી કાળજી લેવાઈ હતી.

જો આવા ઉપવાસો રાજ્યની દરેક શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવે તો બાળકોના શારીરિક અને માનસિક વિકાસમાં વધુ વૃદ્ધિ થાય અને તેમનું ભવિષ્ય વધુ ઉજ્જવળ બની શકે છે.