September 19, 2024

માતા-પિતા સહિત ત્રણ ભાઈની હત્યા, બેવાર મોતને હાથતાળી દેનારી શેખ હસીનાની કહાણી

અમદાવાદઃ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું છે. ટીવી રિપોર્ટ્સ અનુસાર, હિંસક વિરોધ વચ્ચે શેખ હસીના રાજધાની ઢાકા છોડીને ફિનલેન્ડ જઈ રહી છે. તેમની પાર્ટીના અન્ય ઘણા વરિષ્ઠ નેતાઓ પણ દેશ છોડે તેવા સમાચાર છે. બીજી તરફ પ્રદર્શનકારીઓ વડાપ્રધાનના નિવાસસ્થાને પહોંચી ગયા છે. બાંગ્લાદેશમાં છેલ્લા બે મહિનાથી અનામત વિરુદ્ધ હિંસક પ્રદર્શન અને અથડામણ થઈ રહી છે. શેખ હસીનાની આગેવાનીવાળી સરકારે દેખાવકારો સાથે કઠોર વર્તન કરવાનું શરૂ કર્યું ત્યારથી મામલો બીચક્યો હતો. વિરોધીઓ શેખ હસીનાના રાજીનામાની માગ પર અટવાયેલા હતા અને સવિનય અવજ્ઞા આંદોલન શરૂ કર્યું હતું.

કોણ છે શેખ હસીના?
28 સપ્ટેમ્બર 1947ના રોજ જન્મેલા શેખ હસીના બાંગ્લાદેશના સંસ્થાપક શેખ મુજીબુર રહેમાનની સૌથી મોટી પુત્રી છે. તેમનું પ્રારંભિક જીવન પૂર્વ બંગાળના તુંગીપારામાં વિત્યું હતું. શાળાકીય અભ્યાસ અહીં જ થતો હતો. આ પછી તે થોડો સમય સેગુન બગીચામાં પણ રહેતી હતી. ત્યારબાદ તેમનો આખો પરિવાર બાંગ્લાદેશની રાજધાની ઢાકા શિફ્ટ થઈ ગયો હતો.

પિતા મુજીબુર રહેમાન સાથે શેખ હસીના

શેખ હસીના રાજકારણમાં કેવી રીતે પ્રવેશ્યાં?
શરૂઆતમાં તેમને રાજકારણમાં રસ નહોતો. 1966માં જ્યારે તે ઈડન વિમેન્સ કોલેજમાં અભ્યાસ કરતા હતા, ત્યારે તેમને રાજકારણમાં રસ જાગ્યો હતો. તે સ્ટુડન્ટ યુનિયનની ચૂંટણી લડીને ઉપરાષ્ટ્રપતિ બની હતી. ત્યારપછી તેણે તેના પિતા મુજીબુર રહેમાનની પાર્ટી અવામી લીગની વિદ્યાર્થી પાંખનું કામ સંભાળવાનું નક્કી કર્યું હતું. શેખ હસીના ઢાકા યુનિવર્સિટીમાં વિદ્યાર્થી રાજકારણમાં પણ સક્રિય હતા.

માતા-પિતા અને ભાઈઓની હત્યા
શેખ હસીનાના જીવનમાં 1975ના વર્ષમાં ખાસ્સી ઉથલપાથલ થઈ હતી. બાંગ્લાદેશની સેનાએ તેના પરિવારના સભ્યો સામે બળવો શરૂ કર્યો હતો. સશસ્ત્ર લડવૈયાઓએ શેખ હસીનાની માતા, તેના પિતા શેખ મુજીબુર રહેમાન અને ત્રણ ભાઈઓની હત્યા કરી હતી. તે સમયે શેખ હસીના તેના પતિ વાજિદ મિયાં અને નાની બહેન સાથે યુરોપમાં હતી અને સદ્નસીબે તેનો બચાવ કર્યો હતો. માતા-પિતા અને ત્રણ ભાઈઓની હત્યા બાદ શેખ હસીના થોડા સમય માટે જર્મનીમાં રહી હતી. ત્યારબાદ ઈન્દિરા ગાંધી સરકારે તેમને ભારતમાં આશ્રય આપ્યો. તે તેની બહેન સાથે દિલ્હી આવી હતી અને લગભગ 6 વર્ષ સુધી અહીં રહી હતી.

ઇન્દિરા ગાંધી સાથે શેખ હસીના

હસીના 1981માં બાંગ્લાદેશ પરત ફર્યા હતા. જ્યારે તે એરપોર્ટ પર પહોંચી ત્યારે લાખો લોકો તેમને આવકારવા આવ્યા હતા. બાંગ્લાદેશ પરત ફર્યા પછી શેખ હસીનાએ તેના પિતાની પાર્ટીને આગળ વધારવાનો નિર્ણય કર્યો હતો અને 1986માં પ્રથમ વખત સામાન્ય ચૂંટણી લડી હતી. તેમને હારનો સામનો કરવો પડ્યો હોવા છતાં તેઓ વિપક્ષના નેતા તરીકે ચૂંટાઈ આવ્યા હતાં. 1991માં બાંગ્લાદેશમાં પ્રથમ વખત મુક્ત ચૂંટણીઓ યોજાઈ હતી. આ ચૂંટણીમાં શેખ હસીનાની પાર્ટી અવામી લીગને બહુમતી મળી નથી. તેમની સામેની ખાલિદા ઝિયાની પાર્ટી સત્તામાં આવી.

વર્ષ 1996માં ફરીથી ચૂંટણી યોજાઈ. આ વખતે શેખ હસીનાની પાર્ટી પ્રચંડ બહુમતી સાથે સત્તા પર આવી અને શેખ હસીના વડાપ્રધાન બન્યાં. 2001ની ચૂંટણીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારપછી તેઓ 2009માં ફરીથી સત્તામાં પાછા ફર્યા અને ત્યારથી સતત વડાપ્રધાન પદે રહ્યા હતાં.

શેખ હસીનાનો પરિવાર

શેખ હસીનાએ બે વખત મોતને હરાવ્યું છે. પ્રથમ વખત 1975માં અને બીજી વખત 2004માં. જ્યારે 1975માં તેમના પરિવારની હત્યા કરવામાં આવી હતી, ત્યારે તે સંયોગથી બચી ગઈ હતી. કારણ કે તે દેશની બહાર હતી. ત્યારબાદ વર્ષ 2004માં તેમના પર ગ્રેનેડ હુમલો થયો હતો. જેમાં તે ખરાબ રીતે ઘાયલ થઈ હતી. આ હુમલામાં 24 લોકો માર્યા ગયા હતા.