September 18, 2024

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તૈયારી, લાખો માઇભક્તો ઉમટશે

વિક્રમ સરગરા, બનાસકાંઠાઃ ભક્તિ, શક્તિ અને શ્રદ્ધાનું સર્વોચ્ચ શિખર એટલે યાત્રાધામ અંબાજી. માતાજીનું હૃદય અહીં બિરાજમાન હોવાથી શ્રદ્ધાળુઓ આ શક્તિપીઠમાં વિશેષ આસ્થા ધરાવે છે. દેવી ભાગવત પુરાણમાં પણ શક્તિપીઠ અંબાજીનો મહિમા વર્ણવાયેલો જોવા મળે છે. આગામી 12થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમે અહીં મોટો મેળો ભરાશે. જેમાં લાખો માઇભક્તો ઉમટશે અને ધન્યતાનો અનુભવ કરશે.

યાત્રાધામ અંબાજીમાં યોજાતા ભાદરવી પૂનમના મહામેળામાં હૈયાથી હૈયું દળાય એવું માનવ મહેરામણ ઉમટશે. દુનિયાભરમાંથી માઇભક્તોનું ઘોડાપૂર મેળામાં ઉમટે છે. શ્રદ્ધા, વિશ્વાસ અને ભક્તિના ત્રિવેણી સંગમ સમા આ શક્તિપીઠમાં માતાજીનું હૃદય બિરાજમાન હોવાની પુરાણોમાં માન્યતાને લીધે જ શ્રદ્ધાળુઓમાં અંબાજી શક્તિપીઠનું વિશેષ મહત્વ છે.

મા અંબેના પ્રાગટ્યની મૂળ કથા પુરાણ ઉપર આધારિત એક કથા મુજબ, પ્રજાપિતા દક્ષે બૃહસ્પતિ સક નામના મહાયજ્ઞનું આયોજન કર્યુ હતું. જેમાં દક્ષે બધા દેવોને નિમંત્રણ આપ્યું હતું. પરંતુ પોતાના જમાઇ શંકર ભગવાનને બોલાવ્યા ન હતાં. પિતાને ત્યાં યજ્ઞ છે તેવા સમાચાર સાંભળીને ભગવાન શંકરની સમંતિ ન હોવા છતાં દેવી સતી પિતાના ઘરે પહોંચી ગયાં હતાં. ત્યાં યોજાયેલા યજ્ઞમાં ભગવાન શિવને આમંત્રણ ન જોતાં અને પિતા દક્ષના મોઢે પતિની નિંદા સાંભળતા દેવી સતિએ યજ્ઞ કુંડમાં પ્રાણ ત્યજી દીધો હતો.

ભગવાન શિવજીએ દેવીસતીના નિશ્વેતન દેહને જોઇને તાંડવ આદર્યું અને દેવી સતીના દેહને ખભે ઉપાડી ત્રણેય લોકમાં ઘુમવા માંડ્યાં હતાં. ત્યારે આખીયે સૃષ્ટિનો ધ્વંસ થઈ જશે તેવા ડરથી ભગવાન વિષ્ણુએ ચક્ર છોડીને દેવી સતીનાં શરીરનાં ટુકડાં કર્યા હતાં. જે પૃથ્વી પર જુદી જુદી જગ્યાએ જ્યાં જ્યાં પડ્યા ત્યાં ત્યાં શક્તિપીઠનું નિર્માણ થયું. આવા 51 શક્તિપીઠોમાં અંબાજી શક્તિપીઠનું અનોખું અને અલગ મહાત્મ્ય હોવાથી માઇભક્તોમાં મા અંબેનું ધામ અંબાજી પ્રત્યે વિશેષ શ્રદ્ધા આસ્થા રહેલી છે.

દેવી ભાગવતની દંતકથા અનુસાર, પૌરાણિક સમયમાં મહિષાસુર નામે સમગ્ર બ્રહ્માંડ માટે ખતરનાક રાક્ષસ હતો. તેથી ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ, મહેશના નેતૃત્વમાં તમામ દેવતાઓ આખરે બ્રહ્માંડની સર્વોચ્ચ શક્તિ મહાદેવી આદ્યશક્તિના અંતિમ આશ્રયે ગયાં હતાં. જ્યાં બચાવ અને મદદ માટે તેમની પૂજા કરી. જેથી આદ્ય દેવીશક્તિ સૂર્યના કિરણોના તેજસ્વી વર્તુળથી ઘેરાયેલા શસ્ત્રો સાથે પૃથ્વી પર અવતર્યા અને દેવીએ તેમની પવિત્ર તલવારથી મહિષાસુર રાક્ષસને મારી નાંખ્યો હતો. ત્યારથી તેઓ વિશ્વમાં મહિસાસુરમર્દિની તરીકે પ્રખ્યાત થયા હતા. રામાયણમાં કહેલી દંતકથા અનુસાર, ભગવાન શ્રીરામ અને લક્ષ્મણ સીતાજીની શોધમાં શ્રૃંગી રૂષિના આશ્રમમાં આવ્યાં હતા. જ્યાં તેમને ગબ્બર ઉપર દેવી અંબાજીની પૂજા કરવાનું કહેવામાં આવ્યું હતું. ભગવાન શ્રીરામે તે મુજબ કર્યું અને જગત માતા શક્તિદેવી અંબાજીએ તેમને અજયબાણ નામનું ચમત્કારિક તીર આપ્યું હતું. જેની મદદથી ભગવાન શ્રીરામે યુદ્ધમાં તેમના દુશ્મન રાવણ પર વિજય મેળવ્યો અને તેને મારી નાંખ્યો હતો.

એવી પણ એક દંતકથા છે કે, દ્વાપર યુગના સમયગાળા દરમિયાન અહીં આ ગબ્બર ટેકરી પર ભગવાન કૃષ્ણના વાળ કાઢવાની ક્રિયા જેને ચૌલક્રિયા કહેવાય છે પણ કરવામાં આવ્યા હતાં. તેમના પાલક માતાપિતા નંદ અને યશોદાએ પણ દેવી અંબાજી અને ભગવાન શિવની પૂજા કરી હતી. મેવાડના જાણીતા રાજપૂત રાજા મહારાણા પ્રતાપ આરાસુરી અંબા ભવાનીના સાચા ભક્ત હતાં. તેમને એકવાર માતા અંબાજીએ બચાવ્યા હતાં. તેથી તેમણે તેમની પ્રખ્યાત તલવાર માતા આરાસુરી અંબાજીના પવિત્ર ચરણોમાં ભેટ સ્વરૂપે અર્પણ કરી હતી.

દર વર્ષે અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો યોજાય છે. યાત્રાધામ સાથે પૌરાણિક અને ઐતિહાસિક અનેક માન્યતાઓ અને દંતકથાઓ જોડાયેલી છે. જેમાં શ્રદ્ધાળુઓને સંપૂર્ણ વિશ્વાસ હોવાથી દર વર્ષે ભાદરવી પૂનમના મેળામાં લાખો કરોડોની સંખ્યામાં માઇભક્તો પદયાત્રા કરી મા અંબાના દર્શનાર્થે ઉમટે છે અને ધન્યતા અનુભવે છે. મા અંબા ભાવિક શ્રદ્ધાળુઓની મનોકામના પૂર્ણ કરતા હોવાની શ્રદ્ધાળુઓની માન્યતાને પગલે દર વર્ષે મેળામાં યાત્રિકો દર્શનાર્થીઓની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળે છે. રાજ્ય સરકાર, શ્રી પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્ર તથા સેવાભાવી સંસ્થાઓના સંયુક્ત પ્રયાસથી લાખો માઇભકતો માટે મેળામાં રહેવા, જમવા , સુવા અને દર્શનની વિશેષ સગવડો ઉપલબ્ધ કરવામાં આવે છે.