દિલ્હીમાં આયુષ્માન યોજનાને મંજૂરી, વિધાનસભામાં CAG રિપોર્ટ રજૂ કરાશે…પહેલી કેબિનેટ બેઠકના મહત્ત્વના નિર્ણયો

Delhi BJP Govt: આજે દિલ્હીમાં સરકારની રચના થયા બાદ, CM રેખા ગુપ્તાના નેતૃત્વમાં ભાજપની પહેલી કેબિનેટ બેઠક સચિવાલયમાં યોજાઈ હતી. દિલ્હી કેબિનેટની બેઠકમાં આયુષ્માન યોજનાને મંજૂરી આપવામાં આવી. કેબિનેટે દિલ્હી વિધાનસભાના પહેલા સત્રમાં CAGના તમામ 14 પેન્ડિંગ અહેવાલો રજૂ કરવા માટે પણ લીલી ઝંડી આપી દીધી. કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણયો વિશે માહિતી આપતાં મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું કે અમે બે મુખ્ય એજન્ડા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. કેન્દ્ર સરકારની લોકપ્રિય અને લોકકલ્યાણકારી આયુષ્માન યોજના દિલ્હીમાં લાગુ કરવામાં આવશે, જેને અગાઉની આમ આદમી પાર્ટીની સરકારે બંધ કરી દીધી હતી. અમે દિલ્હી વિધાનસભાના પ્રથમ સત્રમાં CAGના તમામ 14 પેન્ડિંગ રિપોર્ટ્સ રજૂ કરીશું, જે અગાઉની સરકાર દ્વારા હોલ્ડ પર રાખવામાં આવ્યા હતા.
#WATCH | After chairing the first Cabinet meeting, Delhi CM Rekha Gupta says," In the first Cabinet meeting, we discussed and passed two agendas – to implement in Delhi the Ayushman Bharat scheme with Rs 5 lakhs top up and tabling of 14 CAG reports in the first seating of the… pic.twitter.com/2HXDPwgmj5
— ANI (@ANI) February 20, 2025
તેમણે કહ્યું કે આ યોજના હેઠળ દિલ્હીના પાત્ર લાભાર્થીઓને 10 લાખ રૂપિયા સુધીની મફત સારવારની સુવિધા મળશે. જેમાં દિલ્હી સરકાર દ્વારા 5 લાખ રૂપિયા અને કેન્દ્ર સરકાર દ્વારા 5 લાખ રૂપિયાનું આરોગ્ય વીમા કવરેજ આપવામાં આવશે. આયુષ્માન કાર્ડ ધારકો દિલ્હીની સરકાર અને કેન્દ્ર સરકારની આરોગ્ય યોજના હેઠળ સૂચિબદ્ધ કોઈપણ ખાનગી હોસ્પિટલમાં 10 લાખ રૂપિયા સુધીની સારવાર મેળવી શકશે. સીએમ રેખા ગુપ્તાએ કહ્યું કે ભાજપે દિલ્હીના લોકોને જે પણ વચનો આપ્યા છે, અમે તેને એક પછી એક ટૂંક સમયમાં પૂરા કરીશું. તેમણે કહ્યું કે કેબિનેટ બેઠકમાં મહિલા સન્માન યોજના પર પણ ચર્ચા થઈ હતી. અમારી સરકાર ટૂંક સમયમાં આ યોજના માટેના માપદંડો નક્કી કરશે અને તેના માટે નોંધણી કેવી રીતે કરવામાં આવશે તે અંગે પણ નિર્ણય લેવામાં આવશે.
અગાઉના દિવસે, રામલીલા મેદાનમાં આયોજિત એક ભવ્ય સમારોહમાં રેખા ગુપ્તાએ છ મંત્રીઓ સાથે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. મંત્રીઓમાં પરવેશ વર્મા, મનજિંદર સિંહ સિરસા, આશિષ સૂદ, રવિન્દર ઇન્દ્રરાજ સિંહ, પંકજ કુમાર સિંહ અને કપિલ મિશ્રાનો સમાવેશ થાય છે. શપથ ગ્રહણ સમારોહ પછી, મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ તેમના સમગ્ર મંત્રીમંડળ સાથે દિલ્હીના વાસુદેવ ઘાટ પર યમુના નદીની આરતી કરી. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં, ભાજપે યમુનાના પ્રદૂષણને મોટો મુદ્દો બનાવ્યો હતો અને જો તેમની સરકાર બનશે તો 3 વર્ષમાં નદીને સાફ કરવાનું વચન આપ્યું હતું. બીજી બાજુ, LGના નિર્દેશ પર, યમુનાની સફાઈનું કામ 16 ફેબ્રુઆરીથી શરૂ થઈ ગયું છે.