તમિલનાડુના CM સ્ટાલિન પર અશ્વિની વૈષ્ણવનો પ્રહાર, કહ્યું – સમાજને વિભાજિત કરવાનો પ્રયાસ

નવી દિલ્હીઃ તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન દ્વારા ત્રણ ભાષાની નીતિનો સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગુરુવારે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં તેમણે કહ્યું કે, હિન્દી ઘણી ભારતીય ભાષાઓને ગળી ગઈ છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે તેમને વળતો જવાબ આપી પ્રહાર કર્યો હતો. તેમણે સ્ટાલિન પર સમાજને વિભાજિત કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, સમાજને વિભાજિત કરવાનો પ્રયાસ કરીને ખરાબ શાસન ક્યારેય છુપાવી શકાતું નથી. આ મામલે તેમણે વિપક્ષને પણ ઘેર્યો હતો.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વિટર પર લખ્યું કે, સમાજને વિભાજિત કરવાના આવા પ્રયાસો ક્યારેય ખરાબ શાસનને છુપાવી શકશે નહીં. આ અંગે વિપક્ષી નેતાઓ શું કહે છે તે જાણવું રસપ્રદ રહેશે. રાહુલ ગાંધી આ અંગે શું કહેશે? શું તેઓ હિન્દી ભાષી બેઠકના સાંસદ હોવાને કારણે આ વાત સાથે સહમત છે?
Poor governance will never be hidden by such shallow attempts to divide society.
It will be interesting to know what the Leader of the Opposition, @RahulGandhi Ji, has to say on this subject. Does he, as MP of a Hindi-speaking seat, agree? https://t.co/Oj2tQseTno
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) February 27, 2025
સ્ટાલિને શું લખ્યું હતું?
તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિને ગુરુવારે લખ્યું હતું કે, ‘શું તમે ક્યારેય વિચાર્યું છે કે હિન્દી કેટલી ભારતીય ભાષાઓને ગળી ગઈ છે? ભોજપુરી, મૈથિલી, અવધી, બ્રજ, બુંદેલી, ગઢવાલી, કુમાઉંની, મગહી, મારવાડી, માલવી, છત્તીસગઢી, સંથાલી, અંગિકા, ખારિયા, ખોર્થા, કુર્માલી, કુરુખ, મુંડારી અને બીજી ઘણી ભાષાઓ હવે અસ્તિત્વ માટે હાંફી રહી છે. એકવિધ હિન્દી ઓળખ માટેના દબાણને કારણે પ્રાચીન માતૃભાષાઓ લુપ્ત થઈ રહી છે. યુપી અને બિહાર ક્યારેય હિન્દીના ગઢ નહોતા. તેમની મૂળ ભાષાઓ હવે ભૂતકાળના અવશેષો બની ગઈ છે. તમિલનાડુ તેનો વિરોધ કરે છે. કારણ કે આપણે જાણીએ છીએ કે આનો અંત ક્યાં આવશે?’
ત્રણ ભાષા નીતિ પર વિવાદ
રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણને લઈને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. તાજેતરમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સ્ટાલિન દ્વારા તમિલનાડુમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાગુ કરવાનો ઇનકાર કરવા પર નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારે સ્ટાલિન કેન્દ્ર સરકાર પર રાજ્યમાં બળજબરીથી તેને લાગુ કરવાનો આરોપ લગાવી રહ્યા છે. તેમણે રાજ્ય પર હિન્દી લાદવાનો આરોપ લગાવ્યો હતો. કેન્દ્ર સરકારે આ આરોપને નકારી કાઢ્યો છે.