વાતાવરણમાં પલટો આવતા ગીર પંથકમાં આંબા પરથી કેરીઓ ખરી પડી, ખેડૂતોની સ્થિતિ દયનીય

દશરથસિંહ રાઠોડ, અમરેલીઃ ગીર પંથક કેસર કેરી માટે પ્રસિદ્ધ છે. કેસર કેરીની ડિમાન્ડ તો ઠેઠ વિદેશ સુધી જોવા મળી છે. ધારી, ખાંભા અને દુધાળા ગામના ખેડૂતો દ્વારા ખાસ અલગ અલગ જાતના આંબાનું વાવેતર કરીને મબલખ ઉપજ મેળવે છે. પરંતુ હાલ પ્રતિકૂળ વાતાવરણને લઈને આંબામાં ફાલ આવ્યો હતો અને કેરીઓ ખરવા લાગતા કેરી પકવતા ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે.

અમરેલી જિલ્લાના ધારી તેમજ ખાંભા ગીર કેરીનો ગઢ ગણાય છે. ગીરની કેસર કેરીઓ ખૂબ પ્રચલિત છે, પણ હાલ હવામાન વિપરીત હોવાથી ખેડૂતોની આશાઓ ઠગારી નીવડે તેવી સ્થિતિનું નિર્માણ ખાંભા ગીરના ગામડાઓમાં જોવા મળી રહ્યું છે. ગીર પંથકમાં અગાઉ પુષ્કળ પ્રમાણમાં આંબે મોર ખીલ્યા હતા પણ નાની નાની કેરીઓ પણ આંબા પર જોવા મળતી હતી.

થોડા દિવસથી વાતાવરણ ચેન્જ થતાં આંબેથી કેરીઓ ખરી પડતા આંબા સાવ કેરીઓ વિનાના થઈ ગયા હોય તેવું જોવા મળી રહ્યું છે. વાતાવરણ ચેન્જિંગ થવાથી આંબામાં કેરી સ્વરૂપે ફળ બેસવાના હતા તે ફળ આંબાના મોરના સ્વરૂપમાં જ પડીને જમીનદોસ્ત થવા લાગ્યા છે. પરિણામે ખેડૂતો દ્વારા દવા ખાતર તેમજ પાણીથી સિંચીને જે આંબામાં મબલક પાક મેળવવાની આશા રાખી હતી. તે નિષ્ફળ ગઈ હોય તેમ દેખાઈ રહ્યું છે.

હવે જો વાત કરવામાં આવે પ્રત્યેક આંબાના બગીચાના ખેડૂતોની તો ફાર્મમાં 1000 આંબાના વૃક્ષથી લઈને 200 આંબાના વૃક્ષ સુધી વાવેતર કરીને મોટા બગીચાના રૂપમાં સ્થાપિત કરેલા છે. પરંતુ ક્યાંયને ક્યાંય પ્રતિકૂળ વાતાવરણની અસરને લઈને હવે ખેડૂતોને કેરીના પાકમાં જોઈએ એવું ઉત્પાદન થઈ શકે તેમ નથી.

ખાંભા તાલુકાના નાના વિસાવદર, ઉમરીયા, ઈંગોરાળા સહિત ગામના બગાયતી ખેતી કરતા તમામ ખેડૂતોને હવે રોવાનો વારો આવ્યો છે. વાતાવરણની અસર મોંઘુ ખાતર તેમજ મોંઘી દવાનો છંટકાવ ખેડૂતો માટે હવે ખરેખર અસહાય થઈ રહ્યો છે. મહેનતથી જતન કરેલા આંબામાં જ્યારે આંબાનો પાક નિષ્ફળ જાય છે, ત્યારે ખેડૂતની વેદના કોઈ સમજી શકતું નથી અને ખેડૂતોને વાર્ષિક કમાણી કરતા આંબાના બગીચા ધરાવતા ખેડૂતો આ વખતે પાક નિષ્ફળ જવાની અણી પર હોવાનો અફસોસ કરી રહ્યા છે.

નાના વિસાવદર ગામના ખેડૂતોને પ્રતિકૂળ વાતાવરણને લઈને આંબામાં આવેલો ફાલ ખરી જવાને લીધે ચિંતિત બન્યા છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા આ બાગાયતી ખેતીનું સર્વે કરાવીને શું વળતર ચૂકવે છે તે જોવાનું રહ્યું પણ બાગાયત વિભાગ દ્વારા આંબે કેરીઓ ખરવાની વાત સ્વીકારી રહ્યા છે, પણ બાગાયત વિભાગ સુધી લેખિત ફરિયાદો મળી નથી તેવું જણાવી રહ્યા છે.