સુગર મીલમાં અમિત શાહ, કહ્યું- હું ને નરેન્દ્રભાઈ જે મિલમાં રાત રોકાયા હતા એનો પુનરુદ્ધાર કરીશું

અરવિંદ સોઢા, કોડીનાર: ગીરની કોડિનાર અને તાલાળા સુગર મિલોનો પુનરુધ્ધાર અને આધુનિકરણના પ્રારંભ સાથે કોડીનાર ખાતેથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભૂમિપૂજન કરાવ્યું હતું. સુગર મિલના પુનરુદ્ધારથી 10 હજારથી વધુ ખેડૂત પરિવારોના જીવનમાં સમૃદ્ધિના દ્વાર ખૂલશે. હું ને નરેન્દ્રભાઈ જે મિલમાં રાત રોકાયા હતા એનો અમે પુનરુદ્ધાર કરીશું. ખેડૂત ‘અન્નદાતા’ સાથે હવે ‘ઉર્જાદાતા’ બની ‘ગ્લોબલ બાયો ફ્યુઅલ પ્રોડ્યુસર’ બનશે. વડાપ્રધાને સૌપ્રથમવાર ‘સહકાર મંત્રાલય’ બનાવીને ખેડૂતોના જીવનમાં અજવાળા પાથર્યા છે. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા અને સહકારી આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કર્યા બાદ હેલિકોપ્ટર મારફતે કોડીનાર સુગરમિલના ભૂમિપૂજન કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યા હતા. સાથે સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, જિલ્લાના સાંસદ રાજેશ ચુડાસમા સાથે અનેક સહકારી આગેવાનોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહે કોડીનાર ખાતેથી કોડિનાર અને તાલાળા સુગર મિલોનો પુનરુધ્ધાર અને આધુનિકરણનો પ્રારંભ કરાવતાં સાથે ભૂમિપૂજન કર્યું હતું. આ અવસરે અમિતભાઈએ જણાવ્યું કે, ઇન્ડિયન પોટાશ કંપની દ્વારા આ સુગર મિલોનાં પુનરુદ્ધારથી આ વિસ્તારનો આર્થિક વિકાસ થશે અને 10 હજારથી વધુ ખેડૂતોના જીવનમાં મોટા પાયે સુધારાનો પ્રારંભ થવા સાથે તેમના જીવનમાં સમૃદ્ધિના દ્વાર ખુલશે.
કોડીનાર ખાતે સુગરમિલના ભૂમિપૂજન કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેતા કેન્દ્રીય મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ‘આ સુગર મિલોની શરૂઆતથી આ વિસ્તારમાં આર્થિક ઉજાસ તો ફેલાશે જ, તે સાથે ખેડૂતો જે રીતે જગતને અન્ન પૂરુ પાડી ‘અન્નદાતા’ કહેવાય છે, તે જ રીતે આ સુગર ફેક્ટરી દ્વારા ઇથેનોલ અને તેમાંથી વીજળી બનાવી ઉર્જા તથા ગેસનું ઉત્પાદન થવાનું છે. ઇથેનોલના ઉત્પાદનથી દેશની પેટ્રોલિયમની આયાતમાં પણ ઘટાડો થશે અને ઇથેનોલની નિકાસ કરવા સાથે ભારતના ખેડૂતો ‘ગ્લોબલ બાયોફ્યુઅલ પ્રોડ્યુસર’ બની ‘ઉર્જાદાતા’ પણ બનવાના છે.’
વર્ષોથી ખેડૂતોની અલગ ‘સહકાર મંત્રાલય’ બનાવવાની માંગણી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજી ટર્મમાં વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળતા જ ‘સહકાર મંત્રાલય’ બનાવીને ખેડૂતોની આ માગ પૂરી કરી છે. ‘પેક્સ થી અપેક્સ’ સુધી અને જિલ્લા અને અર્બન બેંકોનો સંગઠન બનાવવા સાથે 60 કરોડથી વધુ ખેડૂતોને તેનો લાભ મળે તે રીતે આવનારા જીવન માટે વિકાસના દ્વાર ખોલી દીધાં છે. ઇન્ડિયન પોટાશ લિમિટેડ આ વિસ્તારના ખેડૂતોને નવી શેરડીનું બિયારણ મળે, ઉત્પાદન વધે, ડ્રોન ટેકનીકથી ખાતરનો છંટકાવ થાય, નવા સાધનો મળે, ગેસનું ઉત્પાદન થાય વગેરે માટે પણ કાર્ય કરવાની છે. આ બધાથી આ વિસ્તારના ખેડૂતોની સમૃદ્ધિ ચોક્કસ વધશે જ તેઓ વિશ્વાસ અમિતભાઈએ વ્યક્ત કર્યો હતો.
વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 2012-13માં 60 કરોડની વસતિ ખેતી પર નિર્ભર હતી, ત્યારે તે વખતની કેન્દ્ર સરકારનું 22 હજાર કરોડનું બજેટ હતું. જ્યારે અમારી સરકાર દ્વારા વર્ષ 2023-24માં આ બજેટ વધારીને 1.37 હજાર કરોડ જેટલું કરવામાં આવ્યું છે. તે જ રીતે વર્ષ 2012-13માં ખેડૂતોને 8.5 લાખ કરોડ ધિરાણ મળતું હતું. જે આજે 25.50 લાખ કરોડ જેટલું મળે છે. છેલ્લાં દસ વર્ષમાં ડી.એ.પી.ની થેલીનો ભાવ એટલો જ રહ્યો છે કારણ કે, તેમાં થયેલો વધારો સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે.
આ ઉપરાંત કિસાન ક્રેડિટની લિમિટ 3 લાખથી વધારે ને 5 લાખ કરવામાં આવી છે. આ તમામ પગલાઓ દ્વારા ખેડૂતોના જીવનમાં આમૂલ પરિવર્તન લાવવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું છે. કેન્દ્રીય મંત્રીએ શેરડીની ખેતીમાં વધુ પાણીનો વપરાશની જરૂર હોય છે, પરંતુ ઇન્ડિયન પોટાશ લિમિટેડના સહકારથી ડ્રીપ ઈરીગેશન પદ્ધતિ દ્વારા ઓછા પાણીના વપરાશે વધુ શેરડીનું ઉત્પાદન થાય તે દિશામાં અગ્રેસર થવા માટે ઉપસ્થિત ખેડૂતોને અનુરોધ કર્યો હતો. તેમણે ઇન્ડિયન પોટાશ લિમિટેડ અને સહકારી માળખા દ્વારા ખેડૂતોના ઉત્થાન માટે જે સહકાર મળ્યો છે તે માટે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
ઈન્ડિયન પોટાશ લિમિટેડના ચેરમેન ડૉ.પંકજકુમાર બંસલે શાબ્દિક સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, વર્ષોથી બંધપડેલી મીલોના કારણે ખેડૂતોની આજીવિકા પર અસર પડી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સહકારથી સમૃદ્ધિના મંત્રને ખરા અર્થમાં ચરિતાર્થ કરતા હવે આ વિસ્તારના ખેડૂતોની સમસ્યાનો ઉકેલ આવ્યો છે. સામાજિક સંવાદિતાના સિદ્ધાંત સાથે સહકારી ક્ષેત્ર આગળ વધી રહ્યું છે. તાલાળા, કોડિનાર અને વલસાડ સુગર મિલો સાથે દસ હજારથી વધુ ખેડૂતો જોડાયેલાં છે. સરકારના સહકારથી આ સુગર મિલો ફરીથી પુનર્જિવિત થઈ છે. ખાંડના ઉત્પાદન સાથે 600 કરોડથી વધુની મૂડીના રોકાણ સાથે હરિત ઉર્જા સ્ત્રોત તેમજ જૈવીક ખાતર જેવું ઉત્પાદન પણ કરવામાં આવશે. તો બિલેશ્વર ખાંડ ઉદ્યોગના ચેરમેન પ્રતાપસિંહ ડોડિયા અને તાલાળા કો.ઓપરેટિવ સુગર મંડળીના અધ્યક્ષ ભીમશી બામરોટિયાએ સહકારી ક્ષેત્રને અગ્રતા આપવા અને તાલાળા-કોડિનાર સુગર મિલોને ફરી શરૂ કરવા માટે કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર અને સ્થાનિક સહકારી આગેવાનો દ્વારા જે સહકાર પ્રાપ્ત થયો છે તે માટે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, કંપની દ્વારા મિલોને વધુ અસરકારક બનાવવા માટે બે ડિસ્ટલરી, એક ગ્રીન પાવર પ્લાન્ટ, એવિએશન ટર્બાઈન પ્લાન્ટ સહિતની સગવડો ઊભી કરવામાં આવશે. કોડિનાર અને તાલાળા સુગર મિલોની કામગીરી 31 ઓક્ટોબર 2025 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. તેમજ આ મિલોમાં શેરડીનું પીલાણ 01 નવેમ્બર, 2025થી શરૂ કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં ઇફ્કોના ચેરમેન અને રાષ્ટ્રીય સહકારિતા સંઘના અધ્યક્ષ દિલીપ સંઘાણી, સાંસદ રાજેશ ચુડાસમા, એ.ડી.સી. બેંકના અધ્યક્ષ અજય પટેલ, સહકારિતા સચિવ આશિષર ભૂટાણી, ધારાસભ્ય ભગવાન બારડ, કે.સી.રાઠોડ, ડૉ. પ્રદ્યુમન વાજા, પૂર્વ સાંસદ દિનુ સોલંકી સહિત તાલાળા-કોડિનાર ખાંડ ઉદ્યોગના અગ્રણીઓ, સહકારી ક્ષેત્રના પ્રતિનિધિઓ, ખેડૂત અગ્રણીઓ, સ્થાનિક આગેવાનો અને ઈન્ડિયન પોટાશ લિમિટેડના અધિકારીઓ-કર્મચારીઓ તથા સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.