July 5, 2024

રાજ્યમાં બોર્ડની પરીક્ષાને લઈ શિક્ષણ બોર્ડ દ્રારા તમામ તૈયારીઓ પરિપૂર્ણ

મલ્હાર વોરા, ગાંધીનગર: રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા આગામી 11 માર્ચથી બોર્ડની પરીક્ષાનો આરંભ થઈ રહ્યો છે. ત્યારે બોર્ડની પરીક્ષાને લઈને શિક્ષણ બોર્ડ દ્રારા પરીક્ષાલક્ષી તમામ તૈયારીઓ પરિપૂર્ણ કરી દીધી છે. જો કે આ વર્ષે ધોરણ 10 અને 12 ના મળીને કુલ 15 લાખ 39 હજાર 239 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેમાં 4236 દિવ્યાંગ વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપવાના છે.

આગામી 11 માર્ચથી રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા યોજવનારી છે. ત્યારે પરિક્ષાને લઈને શિક્ષણ બોર્ડ દ્રારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. વર્ષ 2024માં બોર્ડની પરીક્ષામાં ધોરણ 10માં કુલ 9 લાખ 17 હજાર 687 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4 લાખ 89 હજાર 279 વિધાર્થીઓ પરીક્ષા આપશે. તો બીજી તરફ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં કુલ 1 લાખ 32 હજાર 073 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

રાજ્યના શિક્ષણ બોર્ડ દ્રારા ધોરણ 10 અને 12 ની પરીક્ષા કુલ 1121 ઝોન અને 5378 બિલ્ડિંગના 54 હજાર 294 બ્લોક પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સિવાય પરીક્ષા દરમિયાન તમામ કેન્દ્રો સહિત વર્ગખડને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પરીક્ષામાં ગેરરિતિના કિસ્સાને રોકવા માટે કુલ 80 જેટલી સ્ક્વોર્ડની ટીમ અને 10 જેટલી ફ્લાઈગ સ્ક્વોર્ડની ટીમ તૈનાત કરાઈ છે.

આગમી 11મી માર્ચથી શરૂ થનારી બોર્ડની પરીક્ષા માટે શિક્ષણ વિભાગે કુલ 60 હજાર જેટલા શિક્ષકોને જવાબદારી સોંપી છે. આ તમામ શિક્ષકો પરીક્ષા દરમિયાન વર્ગખડમાં નિરીક્ષક તરીકેની ભૂમિકા અદા કરશે. આ પરીક્ષા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બોર્ડના સભ્યોની ટીમ સહિત તમામ જિલ્લામાં રહેલ કલેકટર કચેરીના વર્ગ 1 અને 2 ના કર્મચારીઓને પર સ્ક્વોર્ડ તરીકેની જવાબદારી સોંપાઈ છે. શિક્ષણ બોર્ડે પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓને સૂચના આપી છે કે કોઈ વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર મોબાઈલ લઈને આવશે નહિ. આ સિવાય કોઈ પણ કોપી કેસ કરવાનો પ્રયાસ કરશે નહીં, કોઈ વિદ્યાર્થી ગેરરીતી કરતા પકડાશે તો તે વિદ્યાર્થી વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે.