અમદાવાદમાં સાબરમતીના તટે કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનની તૈયારીઓ પૂરજોશમાં, વાંચો તમામ માહિતી

દિપેન પઢીયાર, અમદાવાદઃ 8 એપ્રિલે અમદાવાદમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક શાહીબાગ સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારક ખાતે યોજાશે. ત્યારબાદ 9 એપ્રિલે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કોંગ્રેસનું અધિવેશન મળશે. વર્કિંગ કમિટીની બેઠક માટે સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારક ખાતે 150 લોકો બેસી શકે તેવો AC ડોમ તૈયાર કરાયો છે. વર્કિંગ કમિટીની બેઠક અને અધિવેશનની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક સહિત કોંગ્રેસના નેતાઓએ સ્થળની મુલાકાત લઈ તૈયારીઓની સમીક્ષા કરી હતી. અધિવેશન માટે રિવરફ્રન્ટ પર ત્રણ જર્મન ડોમ બનાવાયા છે. જેમાં મુખ્ય ડોમમાં અધિવેશન યોજાશે. જ્યારે બીજા ડોમમાં ડેલિગેટ માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવશે તથા ત્રીજા ડોમમાં વિવિઆઈપી નેતાઓ માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવશે.

અધિવેશન માટે સમગ્ર દેશમાંથી 2200 જેટલા ડેલિગેટ્સ, સાંસદો, મંત્રીઓ આવશે. આજથી તમામ ડેલિગેટ અમદાવાદ આવવાની શરૂઆત થઈ ગઈ છે. આવતીકાલે સાંજ સુધીમાં મોટાભાગના નેતાઓ અને ડેલીગેટ અમદાવાદ પહોંચી જશે. તેમની રહેવાની સગવડ માટે હોટલ અને ટ્રાન્સપોર્ટેશન માટે કોંગ્રેસે 43 ટીમ બનાવી છે. જે સરદાર પટેલ એરપોર્ટ ખાતે AICC ડેલિગેટનું વિશેષ સ્વાગત કરશે.

દરેક AICC ડેલિગેટ સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા વિશેષ ટીમ સહાય માટે ઉપસ્થિત રહેશે. ડેલીગેટ્સ, સાંસદો, મંત્રીઓ સહિતના મહાનુભાવોના ટ્રાન્સપોર્ટ માટે યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા 43 ટીમ બનાવવામાં આવી છે. જેમાં એક ટીમમાં 5 હોદ્દેદારો ગાડી સાથે સહાય કરશે.

ગુજરાતમાં છઠ્ઠી વખત કોંગ્રેસનું અધિવેશન યોજાઈ રહ્યું છે. 9 એપ્રિલ 2025ના રોજ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં આ અધિવેશન યોજાશે. અગાઉ યોજાયેલા અધિવેશન ની વાત કરીએ તો,

  • પ્રથમ અધિવેશન સુરેન્દ્રનાથ બેનર્જીની અધ્યક્ષતામાં 23-26 ડિસેમ્બર 1902 વચ્ચે અમદાવાદમાં મળ્યું હતું.
  • બીજું અધિવેશન સુરતમાં 26-27 ડિસેમ્બર 1907ના રોજ રાસબિહારી ઘોષની અધ્યક્ષતામાં મળ્યું હતું.
  • ત્રીજું અધિવેશન હકીમ અજમલ ખાનની અધ્યક્ષતામાં 27-28 ડિસેમ્બર 1921ના રોજ અમદાવાદમાં મળ્યું હતું.
  • ચોથું અધિવેશન ગુજરાતના હરિપુરા ખાતે 19-21 ફેબ્રુઆરી 1938ના રોજ નેતાજી સુભાષચંદ્ર બોઝની અધ્યક્ષતામાં મળ્યું હતું.
  • પાંચમું અધિવેશન નીલમ સંજીવ રેડ્ડીની અધ્યક્ષતામાં 6-7 જાન્યુઆરી 1961ના રોજ ભાવનગર ખાતે મળ્યું હતું.

અધિવેશનને લઈ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકે જણાવ્યું હતું કે, અમદાવાદમાં યોજાનારું આ અધિવેશન ઐતિહાસિક સાબિત થશે. ગાંધીજી અને સરદાર પટેલની ભૂમિ પરથી સમગ્ર દેશને સંદેશો આપવામાં આવશે. સાંપ્રત મુદ્દાઓ પર ચર્ચા કરીને કોંગ્રેસ સંગઠનને મજબૂત કરી સમગ્ર દેશમાં આગળ વધશે.