પ્રહલાદનગર ગાર્ડનના એમ્યુઝમેન્ટ પાર્કની મુદત એક વર્ષ લંબાવી, તમામ રાઇડની ચકાસણી કરી શરૂ કરવા મંજૂરી

દિપેન પઢીયાર, અમદાવાદઃ પ્રહલાદનગર ગાર્ડનમાં એમ્યુઝમેન્ટ પાર્કની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં બારોબાર વધુ એક વર્ષ સુધી એમ્યુઝમેન્ટ પાર્ક ચલાવવાની મંજૂરી એએમસીએ આપી છે. પ્રહલાદનગર ગાર્ડનમાં એમ્યુઝમેન્ટ પાર્ક માટે નિલેષા એમ્યુઝમેન્ટને 2023 સુધી મંજૂરી આપી હતી. તેમની મુદત પૂર્ણ થઈ ગઈ હોવા છતાં ફરીથી એક વર્ષ માટે એમ્યુઝમેન્ટ પાર્ક શરૂ કરવા મંજૂરી આપી છે.
મહત્વનું છે કે, એમ્યુઝમેન્ટ પાર્કમાંથી જે આવક થાય તેમાંથી 27 ટકા હિસ્સો કોર્પોરેશનને મળશે. મહત્વનું છે કે, છેલ્લા બે વર્ષથી અહીં એમ્યુઝમેન્ટ પાર્ક બંધ હાલતમાં છે. જેના કારણે તમામ રાઈડ બંધ પડેલી છે. રાઈડ બંધ હોવાને કારણે ભંગાર હાલતમાં જોવા મળી રહી છે. ત્યારે કોર્પોરેશને આ રાઈડની ચકાચણી કરી ફરી શરૂ કરવા મંજૂરી આપી છે. અહીં એમ્યુઝમેન્ટ પાર્ક ફરીથી શરૂ કરતા પહેલાં રાઈડનું યોગ્ય ઈન્સપેક્શન કરવામાં નહીં આવે તો મોટી દુર્ઘટના સર્જાવાની શક્યતા છે.
પ્રહલાદનગર ગાર્ડનમાં એમ્યુઝમેન્ટ પાર્ક શરૂ કરવા માટે કોર્પોરેશને નવું ટેન્ડર બહાર પાડવાને બદલે નિલેષા એમ્યુઝમેન્ટ પાર્કના સંચાલકોની રજૂઆતને માન્ય રાખી એક વર્ષ માટે બીજી વખત મુદત લંબાવી આપી છે. કોર્પોરેશનના સત્તાધીશોએ આ બાબતે બચાવ કરતા જણાવ્યું હતું કે, વેકેશનમાં બાળકો આનંદ માણી શકે તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. એમ્યુઝમેન્ટ પાર્કમાં બાળકો માટે 20 રૂપિયા તથા 14 વર્ષથી વધુની વયના લોકો માટે 30 રૂપિયા ટિકીટનો દર રાખવામાં આવશે. લોકો પ્રહલાદનગર મલ્ટિલેવલ પાર્કીંગમાંથી સીધા પ્રહલાદનગર ગાર્ડનમાં આવી શકે તે માટે ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવશે.