AMCની સામાન્ય સભામાં ક્લિનિકલ કૌભાંડ મામલે હોબાળો, વિપક્ષે સત્તાપક્ષને આડેહાથ લીધો

દિપેન પઢીયાર, અમદાવાદઃ AMCની સામાન્ય સભામાં વીએસ હોસ્પિટલમાં થયેલા ક્લિનિકલ કૌભાંડનો મુદ્દો ગાજ્યો હતો. આ મામલે વિપક્ષે વિરોધ કરી સમગ્ર કૌભાંડની CBI તપાસ કરવાની માગ કરી છે તથા કૌભાંડી ડોક્ટરો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની માગ સાથે વિરોધ કર્યો હતો. વિપક્ષના નેતા અને કાઉન્સિલરો વિરોધ સાથે બોર્ડની બેઠકમાં પહોંચ્યા હતા. VS ક્લિનિકલ કૌભાંડના વિરોધમાં કોંગ્રેસના કોર્પોરેટર ઇકબાલ શેખ ડોકટરના કપડા પહેરીને સભામાં આવ્યા હતા.

એએમસીની સામાન્ય સભામાં વીએસ હોસ્પિટલમાં થયેલા ક્લિનિકલ કૌભાંડ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચા દરમિયાન વિપક્ષના નેતાએ VS હોસ્પિટલમાં ક્લિનિકલ કૌભાંડનો મુદ્દો ઉઠાવ્યો હતો. વિપક્ષના નેતાએ આક્ષેપ કર્યો હતો કે, VS હોસ્પિટલને તાળું મારવાનું કામ થઈ રહ્યું છે. ભાજપના શાસનમાં VS હોસ્પિટલનું નામ કાળા અક્ષરમાં લખાયું છે. દર્દીઓ માટે VS હોસ્પિટલને પ્રયોગશાળા બનાવી દીધી છે.

મંજૂરી વિના 58 ક્લિનિકલ ટ્રાયલ કર્યા છે. આ ટ્રાયલથી 15થી 20 કરોડનો ભ્રષ્ટાચાર કરાયો છે. વર્ષોથી ચાલતા આ કૌભાંડની કેમ કોઈને જાણકારી નહોતી, ફાર્મા કંપનીઓ કોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરતી હતી, જવાબદારો સામે કેમ પોલીસ ફરિયાદ ન કરી, સુપ્રિન્ટેન્ડેન્ટ અને ડીન સામે કેમ કોઈ પગલાં ન લેવાયાં, કઈ દવાઓનું ક્લિનિકલ ટ્રાયલ કરાયું અને કઈ ફાર્મા કંપનીઓએ ટ્રાયલ કર્યા તેના નામ કેમ જાહેર કરવામાં ન આવ્યાં, જે કંપનીઓએ ટ્રાયલ કર્યા તે કંપનીઓને બ્લેકલિસ્ટ કરવાની તથા જે ડોક્ટરોના ખાતામાં પૈસા જમા થાય તેમની પાસેથી રિકવરી કરવાની માગ વિપક્ષે કરી છે. વિપક્ષે આક્ષેપ કર્યો છે કે, આ કૌભાંડમાં વીએસ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ, ડીન અને ફાર્મા કંપનીઓને બચાવવામાં આવી રહી છે.

વિપક્ષના આક્ષેપોનો જવાબ આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, VS હોસ્પિટલમાં OPD ચાલુ છે. ફરિયાદ મળ્યા બાદ તપાસ કમિટીની રચના કરી કાર્યવાહી કરવામાં આવી છે. ડો. દેવાંગ રાણાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પૂર્વ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. મનીષ પટેલ સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેના ખાતામાં પૈસા ગયા છે, તેના એક એક પૈસાનો હિસાબ કરવામાં આવશે અને રિકવરી કરવામાં આવશે. કોઈને બચાવવામાં નહીં આવે. તપાસની કાર્યવાહી પૂર્ણ થયા બાદ કાર્યવાહી કરવામાં આવશે.

કૌભાંડ અંગે ડેપ્યુટી કમિશનર ભરત પરમારે ખુલાસો કરતા જણાવ્યું હતું કે, બજેટ બેઠકમાં આ મુદ્દો આવ્યો હતો. તાત્કાલિક તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી. કમિટી બન્યા બાદ રિપોર્ટ આવ્યો અને કાર્યવાહી કરવામાં આવી છે. તપાસ કમિટીનો પ્રાથમિક રિપોર્ટ આવ્યો છે. પૈસાની રિકવરી કરવા માટેની નોટિસ આપવામાં આવી છે. ખાતાકીય તપાસ કરવામાં આવશે અને તપાસ પૂર્ણ થયા બાદ વિગતો રજૂ કરવામાં આવશે.

મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ ખુલાસો કરતા જણાવ્યું હતું કે, VS હોસ્પિટલમાં એથિક્સ કમિટી ડોક્ટરોએ બનાવેલી હતી. આ માટે મેયર કે કમિશનરની મંજૂરી લીધી નહોતી. જે ફાર્મા કંપનીઓનાં ટ્રાયલ થયા છે તે તપાસમાં બહાર આવશે. મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ અને ડોક્ટરોએ અંદરોઅંદર કાર્યવાહી કરી હતી. દવાઓનું ટ્રાયલ થયું તે અંગે તપાસમાં એક્સપર્ટને સાથે રાખીને તપાસ થશે. ફાર્મા કંપનીઓ સામે પણ કાર્યવાહી થશે. ડોક્ટરો સંડોવાયેલા હતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

VS હોસ્પિટલ ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડ મામલે કોંગ્રેસના કાઉન્સિલર રાજશ્રી કેસરીએ સામાન્ય સભામાં કૌભાંડની તપાસ કરવા માટે બનાવેલી તપાસ કમિટી સામે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે, કૌભાંડમાં સંડોવાયેલા VS હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. પારુલ શાહને તપાસ કમિટીના સભ્ય બનાવાયા છે. NHL મેડિકલ કોલેજના ડીન ચેરી શાહ એડમિશન ગેરરીતિમાં સંડોવાયેલા છે, તેમને પણ તપાસ કમિટીના સભ્ય બનાવાયા છે. ચોરને જ તપાસ કમિટીમાં સભ્ય બનાવતા તપાસ સામે સવાલો ઉઠાવ્યા હતા. ત્યારે પારુલ શાહ અને ચેરી શાહને તપાસ કમિટીમાંથી દૂર કરવા માગ કરી હતી.

આ સમગ્ર કૌભાંડમાં કઈ કઈ દવાઓના ટ્રાયલ કર્યા, કઈ કંપનીઓની દવા હતી તે બાબતે હજી સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી. ત્યારે મ્યુનિસિપલ કમિશનરે એક મહિનામાં તમામ તપાસ પૂર્ણ કરી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.