જીવરાજ પાર્કમાં ઘરમાં ચાલતા ACના ગોડાઉનમાં ભીષણ આગ, બે લોકોનાં મોત

દિપેન પઢીયાર, અમદાવાદઃ શહેરમાં ફરી એકવખત ડીસા અગ્નિકાંડ જેવી ઘટના બની છે. જીવરાજ પાર્ક ચાર રસ્તા પાસે જ્ઞાનદા સોસાયટીમાં આગ લાગતાં બે લોકોના મોત થયા છે. રહેણાંક સોસાયટીમાં ગેરકાયદે એસીનું રો-મટિરીયલ અને એસીમાં ભરવામાં આવતા ગેસના નાના બાટલાનું ગોડાઉન બનાવવામાં આવ્યું હતું. જેમાં ધડાધડ એકબાદ એક ગેસના નાના બાટલાઓમાં બ્લાસ્ટ થયા બાદ વિકરાળ આગ લાગી હતી. ગેસના બાટલાઓ બ્લાસ્ટ થયા બાદ અડધો કિલોમીટર દૂર સુધી ઉડ્યા હતા. ગેસના નાના બાટલાઓ ફાટતાં સોસાયટીના રહીશોના જીવ તાળવે ચોંટ્યા હતા. દોઢ કલાકની ભારે જહેમત બાદ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો.

અમદાવાદમાં ફરી એક વખત ડીસા આગ્નિકાંડની યાદો તાજી થઈ છે. જીવરાજ પાર્ક ચાર રસ્તા પાસે આવેલી જ્ઞાનદા સોસાયટીના 24 નંબરના મકાન માલિક જગદીશ મેઘાણી અને તેમના પુત્ર કર્તવ્ય મેઘાણીએ રહેણાંક મકાનમાં એસીનું રો-મટિરીયલ રાખવા માટેનું ગોડાઉન બનાવી દીધું હતું. જેમાં એસીમાં ભરવામાં આવતા ગેસના નાના સિલિન્ડરોનો મોટા પ્રમાણમાં જથ્થો રાખવામાં આવ્યો હતો.

મકાનના ગ્રાઉન્ડ ફ્લોર અને ધાબા પર એસીમાં ભરવામાં આવતા ગેસના નાના સિલિન્ડરોનો જથ્થો રાખવામાં આવ્યો છે. ધાબા પર રહેલા સિલિન્ડરોમાં અચાનક બ્લાસ્ટ થયા બાદ આગ લાગી હતી. આગને કારણે નાના સિલિન્ડરો સોસાયટીના અન્ય ઘરોમાં બ્લાસ્ટ થઈને પડ્યા હતા. અડધો કિલોમીટર સુધી સિલિન્ડરો ઉડ્યા હતા. જોતજોતામાં આગ મકાનની નીચે સુધી પ્રસરી હતી અને વિકરાણ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટનામાં મકાનના પ્રથમ માળે કર્તાવ્ય મેઘાણીની પત્ની અને તેમનો બે વર્ષનો બાળક ફસાયો હતો. ફાયર વિભાગે બંનેનું રેસ્ક્યૂ કરીને જીવરાજ મહેતા હોસ્પિટલમાં સારવાર માટે પહોંચાડ્યા હતા. જ્યાં બંનેનું સારવાર દરમિયાન મોત થયું છે.

જ્ઞાનદા સોસાયટીએ 13 ફેબ્રુઆરી 2024ના રોજ મકાન માલિક જગદીશ વશરામભાઈ મેઘાણીને નોટીસ ફટકારી હતી. જેમાં મકાનમાંથી માલસામાન અને એસી ગેસના સિલિન્ડરોનો જથ્થો હટાવવા નોટીસ આપી હતી અને મકાનનો ગોડાઉન તરીકે ઉપયોગ ન કરવા નોટીસ આપી હતી. ગેસના સિલિન્ડરો મકામના કમ્પાઉન્ડ અને ધાબા પર ના રાખવા જણાવી આગ લાગવાની સંભાવનાને લઈ આ તમામ જથ્થો હટાવી લેવા નોટીસ ફટકારી હતી. પરંતુ સોસાયટીની નોટીસને જગદીશ મેઘાણી ઘોળીને પી ગયા હતા.

ત્યારબાદ તેમની સામે સોસાયટીએ એએમસીની દક્ષિણ પશ્ચિમ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને 5 માર્ચ 2024ના રોજ રજૂઆત કરી હતી. જેમાં મકાનનો એસીના સિલિન્ડર રાખવા ગોડાઉન તરીકે ગેરકાયદે ઉપયોગ થતો હોવાની રજૂઆત કરી હતી. સોસાયટીએ એએમસીના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આગ લાગવાની સંભાવના વ્યક્ત કરી કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી. સોસાયટીની રજુઆત બાદ પણ એએમસીએ એક વર્ષ થયું છતાં કોઈ કાર્યવાહી ના કરી અને આજે આ ઘટના બની હતી.

આ ઘટનાને લઈને લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા. આ ઘટનામાં સોસાયટીના અન્ય મકાનોને પણ આગથી નુકસાન થયું છે. બેથી ત્રણ મકાનોના કાચ તૂટી ગયા જ્યારે કેટલાંક મકાનોના એસી બળી ગયા તો સોસાયટીમાં પાર્ક કરેલી લોકોની પાંચ કાર અને સાત ટુવ્હીલરો બળીને ખાખ થઈ ગયા છે. આ ઘટનાને લઈ પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. આગ લાગવાનું કારણ જાણવા માટે ફોરેન્સિક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.

સ્થાનિક કાઉન્સિલર દિલિપ બગરીયા અને ધારાસભ્ય અમિત ઠાકર પણ ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સોસાયટીની રજૂઆત બાદ પણ મકાનમાં ચાલી રહેલા ગેરકાયદે ગોડાઉન સામે કોઈ કાર્યવાહી ન થતાં લોકોએ ધારાસભ્ય અને સ્થાનિક કાઉન્સિલનો ઉધડો પણ લીધો હતો. લોકોનો રોષ જોતાં સ્થાનિક કાઉન્સિલર અને ધારાસભ્યએ વાહવાહી લેવા ઉભા રહેવાને બદલે ચાલતી પકડી લીધી હતી.

કોર્પોરેશનની બેદરકારીને કારણે બે લોકોના મોત થયા છે. જો સોસાયટીની રજૂઆત બાદ કોર્પોરેશને તાત્કાલિક કાર્યવાહી કરી હોત તો આજે આ ઘટના ના બની હોત. ડીસામાં લાગેલી ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ બાદ પણ તંત્ર ઘોર નિંદ્રામાં સૂતું રહેતા આ ઘટના બની છે.