અમદવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલ અને શૈલેષ પરમાર સામે પત્રિકા વાયરલ

અમદાવાદ: બીજેપી બાદ હવે કોંગ્રેસમાં નેતાઓ સામે પત્રિકાકાંડ સામે આવ્યો છે. અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખની સેન્સ પ્રક્રિયા સમયે જ પત્રિકાકાંડ થયો છે. અમદવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલ અને ધારાસભ્ય શૈલેષ પરમાર સામે પત્રિકા વાયરલ થઈ છે. બંને નેતાઓ પર આક્ષેપ કરતી પત્રિકાઓ વાયરલ થઈ છે.
આ પત્રિકામાં શૈલેષ પરમાર અને હિંમતસિંહ પટેલને સસ્પેન્ડ કરવા માગ કરાઈ છે. નામ વિનાની પત્રિકામાં હિંમતસિંહ પટેલ અને શૈલેષ પરમાર બીજેપી સાથે મળેલા હોવાનો આરોપ લગાવ્યો છે. પત્રિકા કોંગ્રેસના સંગઠન મહાસચિવ કે.સી વેણુગોપાલ, પ્રભારી મુકુલ વાસનિકને પણ મોકલી હોવાનો દાવો કર્યો છે. કોંગ્રેસ કાર્યાલય પર થયેલ પથ્થરમારી ઘટનામાં હિંમતસિંહ પટેલે બીજેપી સાથે સેટિંગ કર્યું હોવાનો પત્રિકામાં આક્ષેપ લગાવ્યો છે. શૈલેષ પરમારને બચાવવા કોંગ્રેસના કાર્યકરોની બલિ ચઢાવાઈ હોવાનો આરોપ લગાવ્યો છે.
પથ્થરમારાની ઘટના બાદ બીજેપીના શહેર પ્રમુખ અને ધારાસભ્ય અમિત શાહના પુત્ર અને શૈલેષ પરમારનું નામ ફરિયાદમાં ના લખી સમાધાન કર્યું હોવાનો દાવો કર્યો છે. બીજેપી-કોંગ્રેસની મિલીભગતના કારણે કોંગ્રેસના કાર્યકરોએ જેલની હવા ખાવી પડી હોવાનો આરોપ લગાવાયો છે. આ સાથે પથ્થરમારાની ઘટનામાં કોંગ્રેસના કાર્યકરોનો ભોગ લેનાર હિંમતસિંહ પટેલ અને શૈલેષ પરમારને સસ્પેન્ડ કરવા માગ વાયરલ પત્રિકામાં કરવામાં આવી છે.
અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલે આ મામલે ખુલાસો કરતા જણાવ્યું કે, આ જૂની અને વાહિયાત વાત છે. કોંગ્રેસ કાર્યાલય પર જે રીતે હુમલો કરાયો હતો ત્યારે કોંગ્રેસના કાર્યકરોએ સંઘર્ષ કર્યો હતો. પોલીસે કોંગ્રેસના આગેવાનોની ધરપકડ કરી હતી. રાષ્ટ્રીય નેતાઓ અને પ્રદેશના નેતાઓ આ બાબતથી વાકેફ છે. આ ભાજપ સાથે જોડાયેલા લોકોનું ષડયંત્ર છે અને ભાજપ સાથે મળેલા લોકોએ આ કાવતરું કર્યું છે. પાર્ટી હાઇકમાન્ડે આની ગંભીરતાથી નોંધ લીધી છે. નામો સામે આવશે તો સસ્પેન્ડ કરવા સુધીના પગલાં લઈશું. CCTV ફુટેજના આધારે ફરિયાદ થઈ હતી.