અમદાવાદમાં ગેરકાયદેસર વસતા બાંગ્લાદેશીઓ સામે મોટી કાર્યવાહી, વીજ જોડાણ કાપવાનો આદેશ

અમદાવાદ: શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં રહેતા બાંગ્લાદેશીઓ સામે મોટી કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જેમાં ગેરકાયદેસર રહેતા તમામ બાંગ્લાદેશીઓનાં ઘરના વીજજોડાણ કાપવા માટે આદેશ આપવામાં આવ્યો છે.
આદેશ પ્રમાણે, ટોરેન્ટ પાવરની ટીમ ચંડોળા તળાવ વિસ્તારમાં પહોંચી ગઈ છે. આ સાથે જ શહેર પોલીસ કમિશનર પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે. આ સાથે જ કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
143 બાંગ્લાદેશીઓને ઘરભેગા કરશે
અમદાવાદમાં ગેરકાયદેસર વસતા બાંગ્લાદેશીઓનો આંકડો 143 સુધી પહોંચ્યો છે. હાલ તમામ 143 લોકોના ડિપોર્ટેશનની પ્રકિયા ચાલુ કરી દેવામાં આવી છે. વહેલીતકે તમામને બાંગ્લાદેશ ભેગા કરી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, 100 જેટલા ગેરકાયદેસર વસતા બાંગ્લાદેશીઓને માદરે વતન મોકલવા માટેનો પ્રસ્તાવ મોકલી દેવામાં આવ્યો છે. જ્યારે બાકીનાં 43 જેટલાં લોકોની પ્રકિયા ચાલુ કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે, પાછલા કેટલાક દિવસોમાં 500થી વધારે લોકોનાં શંકાસ્પદ પાસપોર્ટ મળી આવ્યા હતા. ત્યારે હજુ પણ આ કાર્યવાહી ચાલુ છે.