લાંબા સમય સુધી અરજીનો નિકાલ ન કરતા અધિકારી-કર્મચારી સામે પગલા લેવાશે

ગાંધીનગર: સરકારી કચેરીમાં આવતા લોકોને હાલાકી ભોગવવી ન પડે તે પ્રમાણે કામગીરી હાથ ધરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૂચના આપી છે. અરજીનો સત્વરે નિકાલ થાય અને પેન્ડેન્સી ઘટે તે દિશામાં પ્રયાસો હાથ ધરવા સૂચના આપી છે. લાંબા સમય સુધી અરજી પડતર રાખતા અધિકારી-કર્મચારી સામે પગલા લેવામાં આવશે.
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આજે ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જનહિતલક્ષી મહત્વની સૂચના આપી છે. રાજ્યની તમામ સરકારી કચેરીઓ/સંસ્થાઓમાં આવતા લોકો, અરજદારોને કોઇપણ પ્રકારની હાલાકી ભોગવવી ન પડે તે દિશામાં કામગીરી હાથ ધરવા સૂચના આપી હતી.
અરજદારોની અરજીનો ઝડપી નિકાલ આવે અને લાંબા સમયથી પડતર રહેતી અરજીઓની પેન્ડેન્સી ઘટે તે માટેના પ્રયાસો હાથ ધરવાની સૂચના મુખ્યમંત્રીએ કેબિનેટ બેઠકમાં આપી હોવાનું મંત્રીએ કહ્યું હતુ.
રાજ્યના જન સંપર્ક કાર્યાલય, જિલ્લા તેમજ તાલુકા પંચાયત, આરોગ્ય કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓમાં આવતા અરજદારો કે સર્વિસ મેળવવા માટે આવતા લોકોની સમસ્યા અને ફરિયાદનું સત્વરે નિકાલ થાય તેવા પ્રયાસો હાથ ધરવા કહેવામાં આવ્યું છે. લાંબા સમય સુધી અરજીનો નિકાલ ન કરતા અધિકારી-કર્મચારી સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
પ્રવક્તા મંત્રીએ વધુમાં જણાવ્યું હતુ કે, રાજ્યની સરકારી કચેરીઓ/સંસ્થાઓમાં સેનિટેશન, સ્વસ્છતા , પીવાના પાણીની બાબતોનું પણ ધ્યાન રાખવા અને ફાયર લાયસન્સ, N.O.Cની ચકાસણી કરવા માટેની પણ તાકીદ કરવામાં આવી હતી.