જૂનાગઢમાં હોલિકા દહન પહેલા વ્યસન મુક્તિનો અનોખો સંદેશ

સાગર ઠાકર, જૂનાગઢ: જૂનાગઢમાં હોળીના દિવસે વ્યસન મુક્તિના સંદેશ સાથે હોલિકા દહન પહેલાં વાલમ બાપાની સ્મશાનયાત્રા કાઢવામાં આવે છે. બાળકો અને યુવાનો વાંસ, કપડાં અને માટલાની મદદથી માણસ જેવું પુતળું બનાવે છે જેને વાલમ બાપાનું નામ અપાય છે. આ પ્રતિકાત્મક રીતે તૈયાર કરાયેલી નનામી જે રીતે કોઈ માણસની સ્મશાન યાત્રા નીકળે તેવી જ રીતે આ પ્રતિકાત્મક વાલમ બાપાની સ્મશાન યાત્રા કાઢી વ્યસન મુક્તિના સુત્રોચ્ચાર કરવામાં આવે છે. જે વિસ્તારમાં હોળી પ્રગટાવવાની હોય તે વિસ્તારના લોકો અને ખાસ કરીને બાળકો વાલમ બાપાની નનામી લઈને વિસ્તારમાં ફરે છે.

કોણ મરી ગયું વાલમ બાપા…કેવી રીતે…બીડી પીતાં…આવાં સુત્રોચ્ચાર સાથે બાળકોથી લઈને વડીલો સુધીના લોકો પોતાના વિસ્તારમાં વ્યસન મુક્તિનો સંદેશો પાઠવે છે. હોળીના સમયમાં લોકો વ્યસનથી દૂર રહે, વ્યસનનો ત્યાગ કરે તેવા હેતુ સાથે વાલમ બાપાની નનામી કાઢવામાં છે.

ખાસ કરીને બાળકો એટલા માટે જોડાય છે કે બાળકોને નાનપણથી જ વ્યસનથી દૂર રહેવાની શીખ મળે. શહેરના ગંધ્રપ ફળિયા વિસ્તારમાં છેલ્લા 92 વર્ષથી આ પરંપરા ચાલતી આવે છે, આ વિસ્તારના લોકો હોળીના દિવસે એકત્રિત થઈ હોલિકા દહન પહેલાં વાલમ બાપાની નનામી કાઢે છે અને બાદમાં હોલિકા દહન કરીને રાત્રીના સૌ સાથે મળીને પરિવારની જેમ સાથે ભોજન લે છે.