વઝીરાબાદમાં પોલીસ સ્ટોરહાઉસમાં ભીષણ આગ, 150થી વધુ વાહનો બળીને રાખ થઈ ગયા

Fire in Wazirabad: ઉત્તર-પૂર્વ દિલ્હીના વઝીરાબાદ વિસ્તારમાં વહેલી સવારે પોલીસ ‘માલખાના’ (સ્ટોરહાઉસ)માં આગ લાગી હતી, જેમાં 150થી વધુ વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. પોલીસે માહિતી આપતા કહ્યું, આગ સવારે 4:30 વાગ્યાની આસપાસ લાગી હતી અને તેની માહિતી મળતાં જ ફાયર વિભાગે આગને કાબુમાં લેવા માટે કુલ 7 ફાયર બ્રિગેડની ગાડી ઘટનાસ્થળે મોકલી હતી. પોલીસે જણાવ્યું હતું કે સવારે 6.20 વાગ્યા સુધીમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. પોલીસ સૂત્રના જણાવ્યા અનુસાર, આગમાં ફોર-વ્હીલર અને ટુ-વ્હીલર સહિત 150 થી વધુ વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. સૂત્રએ જણાવ્યું હતું કે પોલીસે આગનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરી અને બીજી બાજુ, તપાસ ટીમ સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરી રહી છે.

નોઈડામાં ટાયર ફેક્ટરીમાં આગ લાગી
નોંધનીય છે કે, આ પહેલા શુક્રવારે રાત્રે નોઈડાના સૂરજપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક ટાયર બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. ફાયર વિભાગના એક અધિકારીએ આ માહિતી આપી. આ સમયગાળા દરમિયાન કોઈ જાનહાનિ થઈ હોવાની કોઈ માહિતી નથી. અધિકારીએ જણાવ્યું કે ફાયર બ્રિગેડની 20 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ ઓલવવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ હજુ સુધી તે સંપૂર્ણપણે કાબુમાં આવી નથી. ચીફ ફાયર ઓફિસર (CFO) પ્રદીપ કુમાર ચોકે જણાવ્યું હતું કે સૂરજપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ‘MRL ટાયર’ ફેક્ટરીમાં રાત્રે લગભગ 10:30 વાગ્યે અજ્ઞાત કારણોસર આગ લાગી હતી. આ ફેક્ટરી ‘સાઇડ બી’ ઔદ્યોગિક વિસ્તારમાં છે.