હું અહીંયા રાજકારણ કરવા નહીં, માત્ર છત્રપતિ શિવાજી મહારાજ પાસે પ્રેરણા લેવા આવ્યો છું: અમિત શાહ

Amit Shah in Raigad: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહારાષ્ટ્રના રાયગઢમાં કહ્યું કે ઔરંગઝેબ જે પોતાને આલમગીર કહેતા હતા, તેમણે પણ આખરે આ ભૂમિ પર પોતાની સમાધિ બનાવી હતી. શાહે શિવાજી વિશે કહ્યું કે છત્રપતિ શિવાજી મહારાજ ફક્ત મહારાષ્ટ્ર સુધી મર્યાદિત ન રહેવા જોઈએ, દેશ અને દુનિયામાં તેમની જરૂર છે. શાહે કહ્યું, “હું અહીં કોઈ રાજકારણ કરવા આવ્યો નથી, હું અહીં છત્રપતિ શિવાજી મહારાજ પાસેથી પ્રેરણા લેવા આવ્યો છું.” તેમણે કહ્યું કે રાયગઢને ફક્ત પર્યટન માટે જ નહીં પરંતુ દરેક માટે પ્રેરણાનું સ્થળ બનાવવું પડશે.

અમિત શાહે દેવેન્દ્ર ફડણવીસની મહારાષ્ટ્ર સરકારને અપીલ કરી અને કહ્યું કે રાજ્ય સરકારે એ પણ સુનિશ્ચિત કરવું જોઈએ કે 7મા થી 11મા ધોરણના વિદ્યાર્થીઓ પ્રેરણા લેવા રાયગઢ આવે. તેમણે કહ્યું કે સ્વરાજ માટેની લડાઈ ક્યારેય સમાપ્ત થવી જોઈએ નહીં.

શિવાજીના આદર્શો પર કામ કરી રહી છે મોદી સરકાર
અમિત શાહે રાયગઢમાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર છત્રપતિ શિવાજી મહારાજના આદર્શો પર કામ કરી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું, “ન તો નસીબ તેમની (છત્રપતિ શિવાજી મહારાજ) સાથે હતું, ન તો ભૂતકાળ તેમની સાથે હતો, ન તો પૈસા, ન તો સેના હતી. એક બાળકે પોતાનું અદમ્ય સાહસ અને સંકલ્પ સાથે સમગ્ર દેશને સ્વરાજનો મંત્ર આપ્યો. 200 વર્ષથી ચાલતા મુઘલ શાસનને તોડીને દેશને સ્વતંત્ર કરાવ્યો. આજે, આઝાદીના 75 વર્ષ પછી, આપણે વિશ્વ સમક્ષ માથું ઉંચુ કરીને ઉભા છીએ. અમે સંકલ્પ કરીએ છીએ કે જ્યારે આઝાદીના 100 વર્ષ પૂર્ણ થશે, ત્યારે આપણું ભારત વિશ્વમાં નંબર વન હશે, તેની મૂળ કલ્પના શિવાજી દ્વારા કરવામાં આવી હતી.”