September 20, 2024

પાકિસ્તાની રક્ષા મંત્રીએ કોંગ્રેસ અને JKNCને સમર્થન આપતાં ગૃહમંત્રી અમિત શાહ ભડક્યા

Jammu Kashmir Assembly Election 2024: જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં પાકિસ્તાન ફરી એકવાર મોટો મુદ્દો બની ગયો છે. હકીકતમાં પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે ચૂંટણી દરમિયાન કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સને સમર્થન આપ્યું છે. ખ્વાજા આસિફે કહ્યું છે કે જો કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ સત્તામાં આવશે તો કાશ્મીરમાં કલમ 370 પાછી લાવી શકાય છે. હવે આ સમગ્ર મામલાને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ બંને પક્ષો પર જોરદાર પ્રહારો કર્યા છે.

શું છે પાકિસ્તાની રક્ષા મંત્રીનું નિવેદન?
પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે કહ્યું છે કે પાકિસ્તાન કલમ 370 પર કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સના સમર્થનમાં છે. તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ ફરી સત્તામાં આવશે ત્યારે જ કાશ્મીરમાં કલમ 370 પરત કરી શકાય છે. ખ્વાજાએ કહ્યું કે આ બંને પાર્ટીઓ સત્તામાં આવી શકે છે, આવી સ્થિતિમાં કલમ 370 પરત આવે તેવી આશા છે.

ગૃહમંત્રી અમિત શાહે શું કહ્યું?
ગૃહમંત્રી અમિત શાહે X પર પોસ્ટ કરીને કહ્યું- “પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ કલમ 370 અને 35A પર કોંગ્રેસ અને JKNCને આપેલા સમર્થનની વાત પરથી કોંગ્રેસ ફરી એકવાર ખુલ્લી પડી ગઈ છે. આ નિવેદનથી ફરી એકવાર સ્પષ્ટ થઈ ગયું છે કે કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા અને એજન્ડા એક જ છે. છેલ્લા કેટલાક વર્ષોથી, રાહુલ ગાંધી દેશવાસીઓની ભાવનાઓને ઠેસ પહોંચાડીને તમામ ભારત વિરોધી તાકાતો સાથે ઉભા છે.”

ન તો 370 આવશે કે ન આતંકવાદ આવશે – અમિત શાહ
ગૃહમંત્રી અમિત શાહે વધુમાં કહ્યું કે શું તે એર સ્ટ્રાઈક અને સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા માંગે, કે પછી ભારતીય સેના વિશે વાંધાજનક ટિપ્પણી કરવા માંગે, રાહુલ ગાંધીની કોંગ્રેસ પાર્ટી અને પાકિસ્તાન હંમેશા એક જ રહ્યા છે અને કોંગ્રેસનો હાથ હંમેશા દેશ વિરોધી તાકાતો સાથે રહ્યો છે, પરંતુ, કોંગ્રેસ પાર્ટી અને પાકિસ્તાન ભૂલી જાય છે કે કેન્દ્રમાં મોદી સરકાર છે, તેથી કાશ્મીરમાં ન તો કલમ 370 કે આતંકવાદ પાછા આવવાના છે.