September 21, 2024

વલસાડના સાગર ખેડુઓ દ્વારા કરાઇ દરિયાદેવની પૂજા

વલસાડ: આજે નાળિયેરી પૂનમના દિવસે સાગરખેડૂઓએ દરિયાદેવની પૂજા કરી નવી સિઝનની શરૂઆત કરે છે ત્યારે વલસાડના સાગર ખેડુઓ દ્વારા પણ દરિયાદેવ તેમજ બોટની પૂજા કરી નવી સિઝનની શરૂઆત કરી હતી. માછીમાર પરિવારો માટે આજના દિવસનું વિશેષ મહત્વ છે. પવિત્ર નાળીયેરી પૂનમના દિવસે સાગરખેડુ એવા માછીમાર સમુદાય દ્વારા પરંપરાગત રીતે દરિયા દેવનું,બોટ નું પૂજન અર્ચન કરી પોતાની માછીમાર રોજગારીનો શુભારંભ કરે છે.

વર્ષોજૂની પરંપરા મુજબ નાળિયેરી પૂનમ એટલે કે રક્ષાબંધનના દિવસે માછીમારો અને વહાણવટાના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો પરિવાર સાથે દરિયાકિનારે પહોંચે છે અને પરિવારને ક્ષેમકુશળ રાખવાની પ્રાર્થના સાથે દરિયાદેવનું પરંપરાગત પૂજન કરતા હોય છે. આ પછી સમુદ્રમાં બોટ રવાના થતી હોય છે.જે મુજબ આજે વલસાડના સમુદ્ર કિનારે માછીમાર સમુદાયના લોકોએ પરંપરાગત રીતે આસ્થાપૂર્વક પૂજન અર્ચના કરી દરિયાદેવને નારિયેળ પધરાવી માછીમાર રોજગારીમાં સમૃદ્ધિ આપવા અને રક્ષણ કરવાની પ્રાર્થના કરે છે.