September 20, 2024

ભાવનગરમાં પણ ભૂતિયા શિક્ષકનો ખુલાસો, ગણિત-વિજ્ઞાનના શિક્ષિકા અમેરિકા જઈ બેઠા

ભૌમિક સિધ્ધપુરા, ભાવનગર: બાળકના ઘડતરનો પાયો શિક્ષણ હોય છે. પરંતુ, અભ્યાસ કરાવવા માટે જો શિક્ષક જ ન હોય તો આ દેશનું ભાવિ કેવી રીતના અભ્યાસ કરી શકશે. આવા જ એક પ્રકારનો કિસ્સો ભાવનગર જિલ્લાની કોટિયા પ્રાથમિક શાળામાંથી સામે આવ્યો છે. એક વર્ષ પહેલા ગણિત અને વિજ્ઞાનના શિક્ષિકા મેડમનો આ શાળામાં ઓર્ડર થયો હતો. પરંતુ, આ શિક્ષિકા વિદેશ જતા રહ્યા છે. જેના કારણે કોટિયા ગામના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ ઉપર અસર પડી રહી છે. હાલ તો ન્યુઝ કેપિટલ દ્વારા સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારીની મુલાકાત લેવામાં આવી હતી. ત્યારે, તેમણે જણાવ્યું હતું કે આગામી વહીવટી પ્રક્રિયા બાદ મહિલા શિક્ષિકાને એક તરફથી છૂટા કરી દેવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

ભાવનગર શિક્ષણની અસરકારકતા અને શિક્ષણની સરળતા માટે જિલ્લા ફેર અરસ પરસ બદલીઓ થાય છે. પ્રાથમિક વિભાગમાં એક વર્ષ પૂર્વે અરસપરસ બદલીમાં ગાંધીનગરથી મહિલા શિક્ષિકા ભાવનગર મહુવાના કરમદીયા ગામે મુકાયા જ્યાં ઓવર સેટપ હોવાથી નજીકમાં આવેલી કોટીયા પ્રાથમિક શાળામાં બદલી થઇ હતી પરંતુ આજદિન સુધી આ ગણિત-વિજ્ઞાાનના શિક્ષક ગેરહાજર રહેતા ડીપીઇઓ દ્વારા ત્રણ નોટિસ જારી કરાયી છતા કોઇ જવાબ આપવામાં આવ્યો નથી જેથી તેને છુટા કરવાનો તખ્તો ઘડાયો છે. જો કે, વિદ્યાર્થીનું શિક્ષણ એક વર્ષ સુધી બગડયું છે ત્યારે આગામી દિવસોમાં નજીકની શાળામાંથી વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવા તજવીજ હાથ ધરાઇ હોવાનું જણાયું છે અને ગીતાબા ઝાલા નામના ગેરહાજર રહેલા મહિલા શિક્ષિકાને એક તરફી છૂટા કરી દેવા માટે કાર્યવાહી હાથ ધરાયી છે

શિક્ષકો પોતાના વતનમાં કામ કરી શકે તે હેતુ સાથે અરસપરસ બદલી કેમ્પ યોજાય છે પરંતુ શિક્ષકોની આ સુવિધાનો કેટલાક ગેરલાભ લેતા હોવાની બાબત સામે આવી છે. શિક્ષણ વર્તુળોમાંથી જાણવા મળ્યા મુજબ એક વર્ષ પૂર્વે ગાંધીનગરથી ગીતાબેન બબાજી ઝાલાની અરસપરસ બદલી કેમ્પ અંતર્ગત ભાવનગરના મહુવા તાલુકાના કરમદીયા ગામે મુકાયા હતાં જ્યાં ઓવર સેટપ થતા આ શિક્ષિકાને કોટીયા ગામે નિમણૂક અપાઇ હતી પરંતુ જાણે અહિ નોકરી જ ન કરવી હોય તેમ આ શિક્ષિકા લાંબા સમયથી ગેરહાજર રહેવા પામ્યા હતાં. પોતે ગણિત-વિજ્ઞાાનના શિક્ષિકા હોય કોટીયા ગામની સરકારી પ્રાથમિક શાળાના ૧૦૫ વિદ્યાર્થી વચ્ચે છના મહેકમ સામે પાંચ શિક્ષકોથી ગાડુ ગબડાવાય રહ્યું છે વાલીઓની ફરિયાદ અને અપર પ્રાયમરીના વિદ્યાર્થીનું શિક્ષણ કાર્ય પણ લાંબા સમયથી બગડી રહ્યું છે. જે બાબત ટીપીઓ અને ડીપીઇઓને ધ્યાને આવતા વિધિવત ત્રણ નોટિસ મોકલાઇ હોવાનું જણાયું છે છતાં હજુ સુધી કોઇ જવાબ આવ્યો નથી

જિલ્લા શિક્ષણ અધિકારીના જણાવ્યા પ્રમાણે આ શિક્ષિકા વિદેશ હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. આમ જો નોકરી જ ન કરવી હોય તો રાજીનામુ આપી વિદેશ જવું જોઇએ. જો કે, વિદ્યાર્થીઓના શિક્ષણ માટે ડીપીઇઓએ જણાવ્યું હતું કે, નવી ભરતી ન થાય ત્યાં સુધી નજીકની અન્ય શાળામાં ગણિત-વિજ્ઞાનના શિક્ષકને અઠવાડીયામાં એક કે બે વાર તાસ લેવાની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. જ્યારે ઉક્ત શિક્ષિકાનો પગાર ૨૬-૬-૨૩થી બંધ કરાયો છે. અને હવે અંતિમ નોટિસ આપી એક તરફી કાર્યવાહી કરવા તરફ કાર્યવાહી આગળ ચલાવાઇ રહી હોવાનું જિલ્લા શિક્ષણ અધિકારી જણાવ્યું હતું.