September 21, 2024

જેહાનાબાદના વાણાવાર સિદ્ધેશ્વર ધામમાં નાસભાગ; સાત લોકોના મોત

Bihar Stampede: બિહારના જહાનાબાદ જિલ્લામાંથી શ્રાવણના ચોથા સોમવારે એક મોટી અને દર્દનાક દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. અહીં શ્રદ્ધાળુઓમાં નાસભાગ થતા સાત લોકોના મોત થયા છે. વાણાવાર સિદ્ધેશ્વર ધામના ભક્તોની ભીડ વચ્ચે આ ઘટના બની હતી.

જણાવવામાં આવી રહ્યું છે કે શ્રાવણના ચોથા સોમવારે જળાભિષેક કરવા માટે મોટી ભીડ એકઠી થઈ હતી. ડઝનબંધ ભક્તો વાણાવાર પર્વત પર પાતાળગંગાથી જતી સીડીઓ ચઢી અને ઉતરી રહ્યા હતા. મંદિર પાસેની સીડી પર કાવળીયાઓ વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો. થોડી જ વારમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. મંદિર પાસે હાજર પોલીસકર્મીઓએ પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ અચાનક નાસભાગ મચી ગઈ હતી. નાસભાગ થતાં જ લોકો અહીં-તહીં દોડવા લાગ્યા હતા. અંધારામાં લોકો એકબીજાને કચડીને અહીં-તહીં દોડવા લાગ્યા.

અહીં પોલીસ પરિસ્થિતિને કાબૂમાં લઈ શકે ત્યાં સુધીમાં છ મહિલાઓ સહિત સાત શ્રદ્ધાળુઓના મોત થયા હતા. આ અકસ્માત સોમવારે સૂર્યોદય પહેલા થયો હતો. આ અકસ્માતમાં 10થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. મંદિર વિસ્તારમાં તૈનાત પોલીસકર્મીઓ અને સ્વયંસેવકોની મદદથી રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે.

સોમવારે ભીડ વધી ગઈ હતી
આ મામલે જેડીયુ જિલ્લા અધ્યક્ષે કહ્યું કે, બરાબરમાં આ અકસ્માત થયો છે. જેમાં સાત લોકોના મોત થયા હતા. ઘાયલોની સારવાર ચાલી રહી છે. જહાનાબાદના બરાબર સ્થિત સિદ્ધેશ્વર ધામમાં સોમવારે ભીડ નોંધપાત્ર રીતે વધી હતી. દરમિયાન અચાનક નાસભાગ મચી ગઈ હતી.